Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

એલ એન્ડ ટી ગ્રૂપનાં અધ્યક્ષ નાયકને પદ્મવિભૂષણ મળ્યો

દેશનાં લાખો નાગરિકોની સેવા કરી શકું : નાયક : બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત કરનાર ૨૦૧૯નાં વિજેતાઓમાં નાયક એકમાત્ર બિઝનેસ લીડર : અહેવાલ

અમદાવાદ,તા. ૧૬ : લાર્સન એન્ડ ટૂબ્રોને આંતરરાષ્ટ્રીય સ્તરની કન્સ્ટ્રક્શન, એન્જિનીયરિંગ, ઉત્પાદન, ટેકનોલોજી અને સર્વિસ ક્ષેત્રમાં અગ્રણી ગ્રૂપમાં પરિવર્તિન લાવનાર શ્રી એ.એમ.નાયકને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન પહ્મવિભૂષણ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે નવી દિલ્હીમાં આયોજિત એક સમારંભમાં એનાયત કર્યું હતું. અગાઉ શ્રી નાયકને વર્ષ ૨૦૦૯માં પહ્મભૂષણ સન્માન મળ્યું હતું. એલએન્ડટીનાં ગ્રૂપ ચેરમેન શ્રી નાયકે પહ્મવિભૂષણ સ્વીકારતાં જણાવ્યું હતું કે, હું ભારત અને મારાં દેશનાં લાખો નાગરિકોની સેવા કરી શકું એ સ્થિતિમાં હોવા બદલ મારી જાતને હંમેશા ભાગ્યશાળી માનું છું. આ પ્રકારનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન મળવું એ એલએન્ડટી ગ્રૂપ માટે આનંદ અને ગર્વની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, લાર્સન એન્ડ ટૂબ્રો મારફતે દેશ, ઉદ્યોગ અને સમાજની સેવા કરવાનું સન્માન મને પહ્મવિભૂષણ સ્વરૂપે મળ્યું છે. લાર્સન એન્ડ ટૂબ્રો એવી કંપની છે, જેનાં પર મને ગર્વ છે. હું છેલ્લાં પાંચ દાયકાથી આ કંપની સાથે સંકળાયેલો છે અને છેલ્લાં બે દાયકાથી એનું નેતૃત્વ કરી રહ્યો છું. હું આ સન્માન એનાયત કરવા બદલ ભારત સરકારનો આભાર માનું છું અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મારાં સાથીદાર એવોર્ડ વિજેતાઓને અભિનંદન પણ આપું છું. ૫૦ વર્ષથી વધારે સમયગાળાની ઝળહળતી કારકિર્દીમાં શ્રી નાયકે દેશનાં સીમાચિહ્નરૂપ અને ઉત્કૃષ્ટ વિવિધ પ્રોજેક્ટમાંથી કેટલાંકની આગેવાની લીધી છે તેમજ ભારત અને વિદેશ એમ બંનેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે. તેમનાં નેતૃત્વમાં એલએન્ડટી સંરક્ષણ, પરમાણુ ઊર્જા, એરોસ્પેસ, માળખાગત સુવિધા, પાણી અને એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ, હાઇડ્રોકાર્બન અને નાણાકીય સેવાઓ જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સોલ્યુશન પ્રદાન કર્યા છે તેમજ વેલ્યુ ચેઇન બની છે. તેઓ કંપનીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને એન્જિનીયરિંગ સર્વિસીસ જેવા અત્યાધુનિક વ્યવસાયોમાં દોરી ગયા છે. શ્રી નાયક વંચિતોનાં સામાજિક ઉત્થાન પ્રત્યે કટિબદ્ધ છે. તેમણે આ સમુદાયની સ્વાસ્થ્ય, શૈક્ષણિક અને રોજગારલક્ષી જરૂરિયાતો પૂર્ણ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી છે.

આ સેગમેન્ટમાં તેમની સેવાઓને બિરદાવવા તેમની તાજેતરમાં ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિક મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ કોર્પોરેશન (એનએસડીસી)નાં ચેરમેન તરીકે નિમણૂક કરી હતી. આ સન્માન શ્રી નાયકની ભારતીય ઉદ્યોગમાં સર્વિસનાં અસાધારણ રેકોર્ડ તથા રાષ્ટ્રનિર્માણ અને તમામ પક્ષો માટે મૂલ્યનું સર્જન કરવાનાં બે પ્રકારનાં ઉદ્દેશો પાર પાડવામાં તેમની ભૂમિકાને અનુરૂપ છે.

 

 

(9:18 pm IST)