Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ધોળકા-બગોદરા હાઇવે પર રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત :દોઢ વર્ષના બાળક સહીત 5 લોકોના મોત : 3 ગંભીર

ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતા અમદાવાદ સારવાર માટે ખસેડાયા

અમદાવાદ : ધોળકા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના મોત થયા હતા જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ધોળકા-બગોદરા હાઇવે પર સીએનજી રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ 4 લોકોએ દમ તોડ્યો હતો જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયુ હતું. આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કાર અને રીક્ષા વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો જ્યારે કારની આગળની બોનેટને પણ નુકસાન થયુ હતું. તમામ મૃતક ખાનપુરના રહેવાસી હતા.

મૃતકોમાં 14 વર્ષીય સગીરા, દોઢ વર્ષનું બાળક અને બે પુરૂષનો સમાવેશ થાય છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમણે અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ધોળકા રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:43 pm IST)