Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ગુજરાત યુનિવર્સિટીએ બ્રેઈન સ્ટ્રોકના કારણે મૃત્યુ પામેલા વિદ્યાર્થીને મરણોપરાંત પીએચડીની ડિગ્રી એનાયત કરવાનો નિર્ણય કર્યોઃ રાજ્યની 60 યુનિવર્સિટીમાં તેમજ યુનિવર્સિટીના 70 વર્ષના ઈતિહાસમાં મરણોપરાંત પીએચડીની ડિગ્રી આપવાનો આ પ્રથમ કિસ્સો

અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટીએ બ્રેઈન સ્ટ્રોકના કારણે મૃત્યુ પામેલા વિદ્યાર્થીને મરણોપરાંત પીએચડીની ડિગ્રી એનાયત કરવાનો નિર્ણય કર્યો છે. પ્રતિક થાનાવાલા નામના વિદ્યાર્થીની બહેન વૈશાલીએ ગુજરાત યુનિવર્સિટીને મરણોપરાંત પીએચડીની ડિગ્રી મેળવવા માટે કરેલી અરજી માન્ય રખાઈ છે. આ સાથે જ સત્તાધીશોએ દાવો કર્યો છે કે, રાજ્યની 60 યુનિવર્સિટીમાં તેમજ યુનિવર્સિટીના 70 વર્ષના ઈતિહાસમાં મરણોપરાંત પીએચડીની ડિગ્રી આપવાનો આ પ્રથમ કિસ્સો છે.

થીસિસ સબમીટ કર્યા બાદ પ્રતિનું મોત થયું

ગુજરાત યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યૂટર સાયન્સમાં પ્રતિક થાનાવાલાએ 2013માં પીએચડીમાં પ્રવેશ લીધો હતો. આરડીસી (રિસર્ચ એન્ડ ડેવલમેન્ટ કમિટી) તરફથી તેમને પ્રો ડો. જ્યોતિ પારિક ગાઈડ તરીકે એલોટ કરાયા હતા. પ્રતિક થાનાવાલાએ એપ્રિલ 2019માં પીએચડીની થીસિસ સબમીટ કરી હતી. પીએચડી માટેનો માત્ર વાયવા બાકી હતો, ત્યારે મે મહિનામાં તેમનું અવસાન થયું હતું. અંતે તેમને મરણોપરાંત ડિગ્રી આપવાનો નિર્ણય ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયો છે તેવું યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું છે.

બહેને યુનિવર્સિટી પાસેથી માંગી પીએચડીની ડિગ્રી

પોતાના ભાઈને મરણોપરાંત પીએચડીની ડીગ્રી આપવાના નિર્ણય સંદર્ભે બહેન વૈશાલી થાનવાલાએ જણાવ્યું હતું કે, ભાઈ ગુમાવ્યાનું દુ:ખ છે, પણ સાથે જ તેની ઈચ્છા પૂરી થઈ છે. મારા ભાઈ પ્રતિક થાનાવાલાએ ભવન્સ સાયન્સ કોલેજમાં મેથેમેટિક્સ વિષય સાથે બીએસસીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તે પછી નડિયાદની ડીડીઆઈટી કોલેજમાંથી એમસીએની ડિગ્રી મેળવી અમદાવાદ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકેની નોકરી સ્વીકારી હતી. સાથે જ ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી શરૂ કર્યુ હતું. કમ્પ્યૂટર સાયન્સમાં પીએચડી કરવાનું મારા ભાઈનું ડ્રીમ હતું. યુનિવર્સિટી સત્તામંડળના હકારાત્મક પ્રતિસાદના કારણે તેમનું સ્વપ્ન પૂર્ણ થયાનો આનંદ છે. જેના માટે અમે સત્તાવાળાનો આભાર માનીએ છીએ.

                પ્રતિકના નિધન પછી મરણોપરાંત પીએચડીની ડિગ્રી માટે રજિસ્ટ્રાર, ઉપકુલપતિ ડો. જગદીશ પંડયા, કુલપતિ ડો.હિમાંશુ પંડયા પાસે અરજી ગઈ હતી. તેમણે સંવેદનશીલતા દાખવીને એકેડમિક કાઉન્સિલમાં ભલામણ માટે અરજી મૂકી હતી. જેને સર્વસંમતિથી સ્વીકૃતિ મળતા નવેમ્બરના અંત સુધીમાં આ ડિગ્રી તેમની બહેનને અનાયત કરાશે.

(5:13 pm IST)