Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ઉમેટા-આંકલાવની નવાલખ ચોકડી પાસે અજાણ્યા વાહનની હડફેટે રાહદારી કાળનો કોળિયો બન્યો

ઉમેટા:ઉમેટા-આંકલાવ રોડ ઉપર આવેલી નવાખલ ચોકડી પાસે ગઈકાલે રાત્રીના દોઢેક વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહનચાલકે રાહદારીને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
અકસ્માતની મળતી વિગતો અનુસાર આંકલાવ તાલુકાના રામબાઈ માતા મંદિર નજીક રહેતા ફરિયાદી મનુભાઈ દેવાભાઈ પઢિયારનો ભાઈ દિનેશભાઈ (ઉ. વ. ૪૨)ગઈકાલે રાત્રીના દોઢેક વાગ્યાના સુમારે નવાખલ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં તેને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં મોત થયું હતુ. 
ઘટનાની જાણ થતાં જ આંકલાવ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને લાશનો કબ્જો લઈને પીએમ માટે આંકલાવની સરકારી હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ઘરી છે.

(4:15 pm IST)