Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

બનાસકાંઠા જિલ્લાના રણમાં નડાબેટ ખાતે આવેલ નડેશ્વરી માતાજીનું મંદિર સમગ્ર દેશના રક્ષક દેવી તરીકે પૂજાય છેઃ દર વર્ષે ચૈત્ર નૌમના દિવસે મેળામાં લોકો ઉમટી પડે છેઃ કોઇ પુજારી નહીં પરંતુ દેશના જવાનો જ આરતી ઉતારે છે

અમદાવાદઃ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બનાસકાંઠા જિલ્લાના અફાટ રણમાં આવેલ નડાબેટ ખાતે નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે. જે સમગ્ર દેશનાં રક્ષક દેવી તરીકે પૂજાય છે. જેની પૂજા અર્ચના પણ ભારતીય સૈન્યના જવાનો કરે છે.

ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર કચ્છના રણમાં બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ તાલુકા નડાબેટ ખાતે નડેશ્વરી માતાનું સ્થાનક આવેલું છે. નડેશ્વરી માતા આ વિસ્તાર ઉપરાંત સમગ્ર દેશમાં રક્ષક દેવી તરીકે પૂજાય છે. અહીં માતાજીના પરચા અને વૈભવનો અનોખો ઇતિહાસ છે. રણનો વિશાળ પટ માભોમને રક્ષતા સૈનિકો અને શ્રધ્ધાળુઓથી ઉભરાતો આ રણધ્વિપ ભકિત અને શકિતનો સુભગ સમન્વય છે. વાવ તાલુકાના સુઇગામથી ૨૦ કી.મી. દૂર જલોયા ગામની પાસે સૈનિક છાવણીનું સ્થળ 'નડાબેટ' લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે.

દર વર્ષ ચૈત્ર નોમના દિવસે અહીં મેળો ભરાય છે જેમાં હજારો યાત્રિકો નડેશ્વરી માતાના દર્શને ઉમટી પડે છે. નડાબેટ નજીક આવેલા બી.એસ.એફ.કેમ્પના જવાનો પણ શ્રધ્ધાથી માતાજીની પુજા-આરાધના કરે છે. કોઈ પૂજારી નહિ પણ દેશના જવાનો જ આરતી ઉતારતા હોય તેવું આ અલૌકીક સ્થાનક છે.

બી એસ એફ જવાન અને પૂજારી, અંજન પાંડે આ મંદિર અંગે કહે છે કે, 'રણ વિસ્તારમાં કોઈજ પૂજા માટે આવતું ન હતું. જેથી વર્ષોથી આ મંદિર માં દેશની સુરક્ષા કરતા જવાન જ પૂજા કરે છે.'

સાહિત્યકાર, અરજણ ચૌધરી આ મંદિરની કથા સંભળાવતા કહે છે કે, 'રાજા નવઘણ પોતાની બહેનને બચાવવા મુસ્લિમ હુકુમત પર આક્રમણ કરે છે ત્યારે અહીં ચારણ કન્યાઓ રાજાને રણમાં માર્ગ બતાવે છે. જે આજે નડેશ્વરી માતાજી તરીકે પૂજાય છે.'

મંદિરના ટ્રસ્ટી, હરજી રાજપૂતે જણાવ્યું કે, આ જૂનું પૌરાણિક મંદિર છે, પહેલા નાનું ડેરું હતું. મારા પિતા સરપંચ હતા. તેઓએ અહીંનો વિકાસ કર્યો. અહીં અન્નક્ષેત્ર અને ધર્મશાળા ખોલ્યું ખોલી છે. અહીં સુરત અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાંથી પણ લોકો દર્શન કરવા આવે છે.

ટ્રસ્ટી, બાવાભાઈ ચૌધરી આ મંદિર અંગે જણાવે છે કે, 'ભારત પાકિસ્તાનનાં યુદ્ધ વખતે આપણા સૈન્યને માતાજીએ આશીર્વાદ આપતા વિજય થયો હતો. દુષ્કાળના સમયમાં સ્વામી સચિદાનનાદજીએ મુલાકાત લીધી અને ત્યાર બાદ અહીંનો વિકાસ થતો રહ્યો છે.

હાલ ભલે આ અફાટ રણ હોય પણ આઝાદી પહેલાં નડાબેટની ખુબજ જાહોજલાલી હતી. પુષ્કળ ખડીધાસ થતું. જાગીરદારો તથા માલધારીઓ અહીં રહેતા. કુદરતી ઝરણાં વહેતા હતા. દુષ્કાળના વખતમાં લોકો સિંધ પ્રદેશ તરફ મજુરી માટે જતા ત્યારે નડેશ્વરી માતાને વંદન કરીને પ્રસાદી ચડાવીને જતાં. હાલમાં નડેશ્વરી માતાજીના મંદિરની બાજુએ ગૌશાળા પણ આવેલ છે. અહીં બી.એસ.એફ.નો કેમ્પ ઉપરાંત બોર્ડર આઉટ પોસ્ટ ચોકી પણ છે. જ્યાં તાજેતરમાં જ સરકાર દ્વારા સીમા દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરેલી છે.

(6:32 pm IST)