Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણયઃ ગિરનાર પર્વત ઉપર બિરાજમાન માં અંબાનો પ્રાગટ્ય મહોત્સવની કોરોનાને પગલે સાદગીથી ઉજવણી કરાશે

આ સિવાયના ગુજરાતના અનેક સુપ્રસિદ્ધ મંદિરોએ ઉજવણી પર બ્રેક લગાવી

અમદાવાદ: કોરોનાએ ફરી એકવાર માથુ ઉંચક્યુ છે. બે વર્ષમાં ચોથીવાર કોરોનાના આંક ડરાવી રહ્યાં છે. આવામાં ગુજરાત ફરી એકવાર બંધ થવા જઈ રહ્યુ છે. ઉત્સવો અને ઉજવણી પર બ્રેક લાગશે. આવામાં આજે રાત્રે રાત્રિ કરફ્યૂની નવી ગાઈડલાઈન આવે તેના પર સૌની નજર છે. પરંતુ ગુજરાતના અનેક મોટા મંદિરોએ ઉજવણી પર બ્રેક લગાવી છે. ગિરનારનું અંબાજી મંદિર, અંબાજી માતાનું મંદિરમા મોટા નિર્ણયો લેવાયા છે. તો સાથે જ નર્મદા ઘાટ પર પણ ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવાયો છે. 

ગિરનાર પર્વત ઉપર બિરાજમાન માં અંબાનો પ્રાગટ્ય મહોત્સવની કોરોનાને પગલે સાદગીથી ઉજવણી કરવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આગામી 17 જાન્યુઆરી પોષી પૂનમના દિવસે માં અંબાના પ્રાગટ્ય પ્રસંગની ઉજવણી કરવામાં આવશે. સરકારની ગાઈડ લાઈન મુજબ ઉજવણી કરવામાં આવશે. અંબાજી મંદિર ખાતે માતાજીની વિશેષ આરતી, યજ્ઞ, માતાજીનો દૂધ, ગંગા જળથી અભિષેક સહિતની સાદગીપુર્ણ ઉજવણી કરવામાં આવશે તેવુ અંબાજી મંદિરના મહંત તનસુખ ગીરી બાપુએ જણાવ્યું.

બીજી તરફ, ઉત્તર ગુજરાતાં અંબાજી મંદિર ફરી એકવાર ભક્તો માટે બંધ કરાયુ છે. અંબાજી મંદિર 15 થી 22 જાન્યુઆરી સુધી બંધ રહેશે. ગબ્બર, અંબાજી મંદિર અને ટ્રસ્ટના મંદિરો બંધ રહેશે તેવી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રેસનોટ જાહેર કરીને કહેવાયુ છે. આમ, કોરોનાની ત્રીજી લહેર વચ્ચે મંદિર બંધની જાહેરાત કરી દેવાઈ છે. જોકે, સવાર અને સાંજની આરતીના ઓનલાઇન દર્શન વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ મંદિર ટ્રસ્ટનુ અંબિકા ભોજનાલય ચાલુ રહેશે.

નર્મદા ઘાટ પર અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય છે. આ માટે અનેક ભક્તો એકઠા થતા હોય છે. આવામાં નર્મદા નાયબ નિવાસી કલેક્ટર એચ કે વ્યાસ દ્વારા નર્મદા ઘાટ ખાતે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. ગોરા ગામ ખાતે બનેલ નર્મદા ઘાટ ખાતે કેટલાક ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવાયો છે. નર્મદા ઘાટ ખાતે કોઈપણ પ્રકારની પૂજા અર્ચના વિધિ કરવી નહિ. ફૂલ કે પૂંજાપો અર્પણ કરવા નહિ અને નર્મદા નદીમાં દૂધ પણ નહીં ચઢાવવા આદેશ કર્યો છે. તેમજ જાહેરનામાનો જો ભંગ થશે તો નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ સબ ઇન્સપેક્ટરને ગુનો દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.

(12:43 pm IST)