Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

પોતાની સામાજિક જવાબદારી નિભાવ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉજવણી કરતા દેખાયા

સવારે જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા બાદ સીએમ ભુપેન્દ્ર પટેલ પોતાના આખા પરિવાર સાથે નારણપુરામાં રહેતા તેના ભાઈ કેતન પટેલના ઘરે પહોંચ્યા હતા, જ્યા તેમણે પરિવાર સાથે ઉજવણીનો આનંદ માણ્યો

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ પર પોતાની સામાજિક જવાબદારી નિભાવ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉજવણી કરતા દેખાયા હતા. સીએમ ભુપેન્દ્ર પટેલ નારણપુરા સ્થિત પોતાના ભાઈના ઘરે પહોચ્યા હતા. જ્યા તેમણે પતંગ ચગાવી હતી. સીએમએ મકરસંક્રાતિની ઉજવણી કરીને રાજ્યની પ્રજાને મકરસંક્રાતિની શુભેચ્છાઓ પાઠવી હતી.

સવારે જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા બાદ સીએમ ભુપેન્દ્ર પટેલ પોતાના આખા પરિવાર સાથે નારણપુરામાં રહેતા તેના ભાઈ કેતન પટેલના ઘરે પહોંચ્યા હતા. જ્યા તેમણે પરિવાર સાથે ઉજવણીનો આનંદ માણ્યો હતો. અહી તેમણે સ્થાનિક લોકો સાથે પણ વાત કરી હતી. મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણીમાં આપણી સંસ્કૃતિમાં પશુઓને ઘાસચારો અને જરૂરતમંદ લોકોને દાનનું મહાત્મ્ય છે. આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સહજતાપૂર્વક નિભાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મકર સંક્રાંતિના અવસરે અમદાવાદમાં સવારે જગન્નાથ મંદિરમાં ભક્તિ ભાવપૂર્વક દર્શન અર્ચન કર્યા હતા અને ગૌ માતા પૂજન કર્યું હતું. તથા ઘાસ નિરણ કર્યું હતું. તેમણે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે મંદિર વિસ્તાર માં વસતા સેવા વસ્તી પરિવારો અને જરૂરતમંદ લોકોને મીઠાઈ વગેરેનું વિતરણ કર્યું હતું.

(12:44 pm IST)