Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

બિજલ જોષી રેપ કેસના મુખ્ય આરોપી સજલ જૈનને છોડી મૂકવા સુપ્રીમ કોર્ટનો આદેશ

૨૦૦૩ની ઘટના : બીજલ પર થયો હતો ગેંગરેપ

અમદાવાદ તા. ૧૩ : ચર્ચિત બિજલ જોષી ગેંગરેપ કેસના દોષી સજલ જૈનને છોડી મૂકવા બુધવારે સુપ્રીમ કોર્ટે અમદાવાદના જેલ પ્રશાસનને આદેશ આપ્યો. ૨૦૦૩માં નવા વર્ષની પૂર્વસંધ્યાએ ૨૪ વર્ષની બિજલ જોષી સાથે ગેંગરેપ થયો હતો. સુપ્રીમ કોર્ટે સજલે કરેલી અરજીને અમુક અંશે માન્ય રાખી છે, તે પ્રમાણે સજલે ૧૪ વર્ષની આજીવન કેદ ભોગવી લીધી હોવાથી તેને મુકત કરવાનો આદેશ આપ્યો. સૂત્રોના મતે, સજલ જૈને ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટે સજલને સંભળાવેલી આજીવન કેદની સજાને ટેકો આપ્યો હતો.

ફરિયાદી પક્ષના કેસની વાત કરીએ તો, દિલ્હીના બિઝનેસમેન સજલ જૈનને બિજલ સાથે લગ્નેત્તર સંબંધો હતા. શાહીબાગ સ્થિત અશોક પેલેસ હોટલમાં ન્યૂ યરની પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં બિજલ સજલ સાથે ગઈ હતી. સજલ અને તેના મિત્રો ચંદન જૈસવાલ, અશોક ઉર્ફે મદન જૈસવાલ, સુગમ જૈસવાલ અને ધર્મેન્દ્ર ઉર્ફે કરણ જૈને બિજલના ડ્રીંકમાં નશીલો પદાર્થ ભેળવ્યો અને હોટલ રૂમમાં એક પછી એક બિજલ પર બળાત્કાર ગુજાર્યો. બાદમાં તેઓ બિજલને એક વાહનમાં મૂકીને જતા રહ્યા અને બીજા દિવસે તેની મોટી બહેનને ફોન કરી બિજલને લેવા આવવાનું કહ્યું.

બિજલે નોંધાવેલી FIRને હાઈકોર્ટે તેના મૃત્યુ સમયના કથન તરીકે માન્ય રાખ્યું. હાઈકોર્ટમાં અરજી પર સુનાવણી વખતે વિવાદ ઊભો થયો હતો. હાઈકોર્ટે પીડિત પરિવારને આરોપીઓની આજીવન કેદની સજાને બદલે વળતર તરીકે મોટી રકમ લેવાનું સૂચવ્યું હતું. જો કે, પીડિતાના પરિવારે આ બાબતનો વિરોધ કર્યો અને બેન્ચ બદલવાની માગ કરી હતી.

૨૦૦૮માં શહેરની સેશન્સ કોર્ટે ૫ શખ્સોને આ કેસમાં દોષી ઠેરવીને અન્ય ૭ને આરોપમુકત કર્યા. સુગમની માતા સીમા જૈસવાલ, બહેન શ્રેયા જૈસવાલ, પિતા હરિપ્રસાદ જૈસવાલ, પન્નાલાલ જૈસવાલ, આણંદના અશોક પટેલ પર આરોપીઓને આશરો આપવાનો આરોપ હતો, અમદાવાદ સિવિલ હોસ્પિટલના CMO ડો. યોગેશ જાદવ. આ તમામ પર પુરાવા નષ્ટ કરવાનો આરોપ હતો જેમને કોર્ટે છોડી મૂકયા હતા.(૨૧.૯)

(11:46 am IST)