Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

સીબીઆઇ માફક કેસ શોધી, સજા કરાવાશેઃ ૪૪ તાલીમબધ્ધ પીઆઇ મેદાને

ઇન્ટરપોલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા એફએસએલ વડા જે.એમ.વ્યાસ અને અમેરીકાના કાયદે આઝમ વિ. દ્વારા એસીબી અધિકારીઓને પાંચ દિવસ સુધી સ્પેશ્યલ ટ્રેનીંગઃ નવા કાયદા મુજબ ભ્રષ્ટાચારીઓની તેમના સગા સંબંધી અને મિત્રોના નામે રહેલી મિલ્કતો શોધવા માટે ઇન્ટેલીજન્સ ઇનપુટ મેળવવા કેશવકુમારનો અનુરોધ

રાજકોટ, તા., ૧૩: ગુજરાતના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને સીબીઆઇની સમકક્ષ બનાવવા માટે સીબીઆઇનો બહોળો અનુભવ ધરાવતા એસીબીના સ્પેશ્યલ ડાયરેકટર કેશવકુમાર દ્વારા તાજેતરમાં જ ગુજરાત પોલીસદળમાંથી  બઢતી પામી એસીબીમાં નિમાયેલ ૪૪ જેટલા પોલીસ ઇન્સ્પેકટર લેવલના અધિકારીઓને સીબીઆઇમાં કઇ રીતે કામગીરી થાય છે વૈજ્ઞાનીક ઢબે ફોરેન્સીક પુરાવાઓ કઇ રીતે મેળવાય છે તથા બેનામી મિલ્કત શોધવા કેવી ટેકનીકો અજમાવાય છે તેનું માર્ગદર્શન આપવા સતત પ દિવસની તાલીમ શીબીરનું આયોજન એસીબી હેડ કવાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું.

એસીબીના ૪૪ જેટલા પોલીસ ઇન્સ્પેકટરોને એસીબીમાં ખુબ જ મહત્વની મનાતી કોર્ટ કાર્યવાહી, સોગંદનામા, ટ્રાયલ મેનેજમેન્ટ, અપીલ દાખલ કરવાની તાલીમ તથા નાણાકીય ટ્રાન્ઝેકશનો શોધી કાઢવા તથા મની લોન્ડરીંગના કાયદાની કાયદે આઝમો દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

ગુજરાતના ગૌરવ સમી એફએસએલ તથા વિશ્વની પ્રથમ ફોરેન્સીક યુનિ.ના વડા અને ઇન્ટરપોલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા ડો.જે.એમ.વ્યાસ વિશેષ ઉપસ્થિત રહી ફોરેન્સીક સાયન્સના સઘન ઉપયોગથી એસીબીના કેસો કઇ રીતે મજબુત બનાવી શકાય તે માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવેલું. આ ઉપરાંત અમેરીકામાં કાયદાકીય ક્ષેત્રે એક્ષપર્ટ ટેકનોક્રેટ તરીકે ફરજ બજાવતા નિષ્ણાંત દ્વારા પણ એસીબીના અધિકારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી હતી.

એસીબી વડા કેશવકુમારે સીબીઆઇમાં કઇ રીતે વૈજ્ઞાનિક ઢબે પુરાવા મેળવવામાં આવે છે અને તપાસના કામે તેનો કઇ રીતે ઉપયોગ કરવામાં આવે છે તે બાબતની સાથોસાથ એસીબીમાં પણ ઇન્ટેલીજન્સ ઇનપુટ કેટલી મહત્વની છે અને તે એકઠી કરવા માટે કેવી કેવી ટેકનીક અજમાવાય છે તેના જાત અનુભવનો નીચોડ પણ રજુ કર્યો હતો. તેઓએ ધી પ્રોહીબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેકશન એકટ ૧૯૮૮ માં થયેલા સુધારાઓને નજરમાં રાખી સરકારી અધિકારીઓ-કર્મચારીઓ અને તેના સગા સબંધીઓ અને મિત્રોના નામે રહેલી બેનામી સ્થાવર જંગમ મિલ્કતનું રોકાણ શોધી કાઢવા કામે લાગી જવા અને પરીણામ લક્ષી કામગીરી કરવા એસીબીના અધિકારીઓને સુચવ્યું હતું. ઉકત પ્રસંગે એસીબીના એડીશ્નલ ડાયરેકટર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(12:08 pm IST)