Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

મંગળવારે વિપુલ ચૌધરી આપમાં જોડાશે :ગાંધીનગરના ચરાડા ખાતે અર્બુદા સેનાના મહાસંમેલનમાં થશે જાહેરાત

અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રીના મહત્વના નિવેદનથી મહેસાણાના રાજકારણમાં ગરમાવો

અમદાવાદ :અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રીનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું પછી મહેસાણાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાતમાં સત્તા મેળવવા માટે બીજેપી-કોંગ્રેસ અને આપમાં ઘમાસાણ યુદ્ધ છેડાઇ ચૂક્યું છે. આ વચ્ચે બીજેપીથી નારાજ દિગ્ગજ નેતાઓ પણ પોતાના અસ્તિત્વને બચાવી રાખવા માટે ઝઝૂમી રહ્યાં છે. આ વખતની ચૂંટણી કોઈના માટે પણ જીતવી સરળ રહે તેવું દેખાઈ રહ્યું નથી. બીજેપીને પણ ચૂંટણી જીતવા માટે અથાગ મહેનત કરવી પડે તેવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.

અર્બુદા સેનાના મહામંત્રી રાજુભાઇ ચૌધરીના નિવેદન અનુસાર, આગામી 15મી નવેમ્બરે ગાંધીનગરના ચરાડા ખાતે અર્બુદા સેનાનું મહાસંમેલન યોજવા જઇ રહ્યું છે. આ સંમેલન દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા અર્બુદા સેના સાથે ગઠબંધનની જાહેરાત કરવામાં આવશે. તે ઉપરાંત વિપુલ ચૌધરી પણ એ જ સમયે સત્તાવાર રીતે આપમાં જોડાશે.

અર્બુદા સેનાના મહામંત્રી રાજુભાઇ ચૌધરીએ નિવેદન આપ્યું છે કે, આગામી 15 નવેમ્બરના રોજ અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે. ગાંધીનગરના ચરાડામાં અર્બુદા સેનાનું મહાસંમેલન વખતે જ અર્બુદા સેના પોતાનું રાજકીય સ્ટેન્ડ નક્કી કરશે. જોકે, આ અંગે આમ આદમી પાર્ટી તરફથી કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

વિસનગર વિધાનસભા સીટ પર ભાજપે ઋષિકેશ પટેલને ટિકિટ આપી છે. તેવામાં વિપુલ ચૌધરી આપમાં જોડાઈ વિસનગરથી ચૂંટણી લડશે તો ચોક્કસ રીતે ઋષિકેસ પટેલ માટે મોટા પડકારો ઉભા થઈ શકે છે. ભાજપનો ગઢ ગણાતી વિસનગર વિધાનસભા સીટ પર આ વખતે ત્રિપાંખીયો જંગ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે.

1995થી લઇને 2017 સુધી વિસનગર સીટ પર ભાજપનો વિજય થયો છે. વર્ષ 2007, 2012, 2017માં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિજેતા બન્યા હતા. તો 2022માં પણ ઋષિકેશ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કરતાં પાર્ટીએ તેમને ટિકિટ આપી છે.

(12:56 am IST)