Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

અમદાવાદના સાબરમતી વિસ્તારના સુભાષનગરમાં મોટા ભાઈની હત્યા કરનાર બેરોજગાર નાનાભાઈની ધરપકડ

અમદાવાદ: સાબરમતીના સુભાષનગરમાં ગુરૂવારે સાંજે પોતાના માટે પાણીપુરી ના મંગાવનાર મોટા ભાઈની નાના ભાઈએ ગળું દબાવી દિવાલ સાથે માથું ભટકાડી હત્યા કરી હતી. સાબરમતી પોલીસે મોટા ભાઈની હત્યા કરનાર બેરોજગાર એવા નાના ભાઈની ધરપકડ કરી છે. 

સાબરમતીના સુભાષનગર પિતાના ઘરે પતિ સાથે રોકાયેલા ડોલીબહેન યોગેશકુમાર મહેતાએ પોતાના સગા નાના ભાઈ અમિત રોહિતભાઈ પંડયા (ઉં,૪૨) વિરૂદ્ધ મોટા ભાઈની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત મુજબ ડોલીબહેન ગુરૂવારે સાંજે તેમના પતિ સાથે બહાર જતા હતા. તે સમયે મોટા ભાઈ અજયે બહેનને જણાવ્યું કે, મારા અને મારી પુત્રી માટે પાણીપુરી લેતા આવજો. ડોલીબહેન અને તેમના પતિ પાણીપુરી લઈને સાંજે ૬.૩૦ વાગ્યે ઘરે પરત ફર્યા ત્યારે અજયભાઈનું ગળું નાના ભાઈ અમીતે પકડયું હતું. અમીતે ગળું દબાવતા ડોલીબહેન અને સ્થાનિક લોકોએ તેઓને છોડાવ્યા હતા. ઉશ્કેરાયેલા અમીતે ધક્કો મારતા અજયભાઈનું માથું દિવાલ સાથે ટકરાયું અને ઈજા થઈ હતી. મુર્છીત થઈ ગયેલા અજયભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા ફરજ પરના ડૉકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે ડોલીબહેન મહેતાએ સગા નાના ભાઈ વિરૂદ્ધ મોટા ભાઈ અજય પંડયા (ઉં,૪૬)ની હત્યા કર્યાની ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મૃતક આઈટીનું કામ કરતા તેમજ નાનો ભાઈ અમીત બેરોજગાર હોઈ કોઈ કામધંધો કરતો ન હોવાનું ખુલ્યું હતું.અજય પાણીપુરી અમીત માટે ના મંગાવતા તે ઉશ્કેરાયો અને ઝઘડો કર્યો હતો. અમીતે તમે ઘરમાં ખાવાની વસ્તુ મંગાવો છો પણ મને આપતા નથી તેમ કહી તકરાર કરી હતી. 

(4:57 pm IST)