Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

અમદાવાદ:સરખેજમાં ફટાકડા ફોડવા જેવી બાબતે થયેલ બબાલમાં બે મહિલા સહીત ચાર ઈજાગ્રસ્ત

અમદાવાદ: સરખેજના ઈન્દીરાનગર ખાતે સલાટવાસમાં બુધવારે રાત્રે ૧૦ વાગ્યે ફટાકડા ફોડતી બાળકીને જોઈ મારી ઉંઘ બગાડી તેમ કહી પાડોશીએ તકરાર કરી હતી. બાળકો તો ફટાકડા ફોડે તેમ બાળકીના પિતાએ જવાબ આપતા આરોપી અને તેના પરિવારે પથ્થરમારો શરૂ કર્યો હતો. જેમાં બે મહિલા સહિત ચાર લોકોને ઈજા થઈ હતી. સરખેજ પોલીસે ગુરૂવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

કુરિયર કંપનીમાં ફરજ બજાવતા અને સરખેજના સલાટ વાસમાં રહેતાં જીતેન્દ્રભાઈ દાનાભાઈ સલાટ (ઉં,૩૫)એ યુસુફભાઈ મહમદભાઈ, રફીકભાઈ મહમદભાઈ, અલી મહેમુદભાઈ અને સુલતાનભાઈ ચાંદમીયા સૈયદ વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ બુધવારે રાત્રે ફરિયાદીના ભાઈની  માસુમ બાળકી ઘર પાસે ફટાકડા ફોડતી હતી. તે સમયે આરોપી યુસુફ મહમદે મારી ઉંઘ બગાડો છો, અંહીયા ફટાકડા ફોડવાનો નહી તેમ કહી બોલાચાલી કરી હતી. ફરિયાદીએ બાળકો તો ફટાકડા ફોડે તેવો જવાબ આપ્યો હતો. ઉશ્કેરાયેલા યુસુફ મહમદએ જીતેન્દ્ર સલાટને અપશબ્દો બોલી મારમારવાનું શરૂ કર્યું હતું. જીતેન્દ્રના કાકા સહિતના લોકો આવી જતા યુસુફનો ભાઈ સહિત ચાર લોકો ત્યાં ભેગા થયા હતા. તમામ બેફામપણે અપશબ્દો બોલતા હોવાથી ફરિયાદી જીતેન્દ્રની માતા, ભાભી અને કાકાએ અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફરિયાદી અને તેના પરિવારની બે મહિલા અને કાકાને ગંભીર ઈજાઓ થઈ હતી. સરખેજ પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

(4:57 pm IST)