Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

જો ફેરીયાઓ માટે જગ્યા ઉપલબ્ધ હોય તો પ્રશાસન તે જગ્યા તેમને આપી શકે છે, તેમના માટે પણ પોલીસી છેઃ જો જનહિતની વાત હોય તો આ પ્રકારના નિર્ણય લેવા પડે છેઃ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ

અમદાવાદઃ જેમના કારણે અમદાવાદમાં પ્રશાસન એક્ટિવ મોડમાં આવ્યું અને ગેરકાયદેસર દબાણ હટાવવાની અને ટ્રાફિકની ઝુંબેશ ચલાવી તે જસ્ટિસ એમ.આર.શાહ કહે છે કે, ઝુંબેશના કારણે અમુક લોકોને મુશ્કેલી ઉઠાવવી પડી, પરંતુ જનહિતમાં આવા નિર્ણયો લેવા પડે છે.

શુક્રવારના રોજ જસ્ટિસ શાહનો ગુજરાત હાઈકોર્ટમાં અંતિમ દિવસ હતો, હવે તે પટના હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે ચાર્જ સંભાળશે. જ્યારે જસ્ટિસ શાહને તેમના ઓર્ડર અને તેના કારણે થયેલા ઘણાં લોકોના નુકસાન વિષે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ડ્રાઈવને કારણે અમુક લોકોને પરેશાની ઉઠાવવી પડી, પરંતુ જો જનહિતની વાત હોય તો પ્રકારના નિર્ણય લેવા પડે છે.

જસ્ટિસ શાહએ જણાવ્યું કે, મેં મારા ઓર્ડરમાં ઉલ્લેખ કર્યો હતો કે, જો ફેરિયાઓ માટે જગ્યા ઉપલબ્ધ હોય તો પ્રશાસન તેમને તે જગ્યા આપી શકે છે. તેમના માટે પણ પોલિસી છે. ઉલ્લેખનીય છે કે, ફેરિયાઓના એક અસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે કે, લગભગ 7500 ફેરિયાઓ ઝુંબેશને કારણે અસરગ્રસ્ત બન્યા છે. ફેરિયાઓએ સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ કરવાની માંગ કરી છે.

2001માં આવેલા ધરતીકંપ પછી ટાઉન-પ્લાનિંગના ભાગરુપે જગ્યાની ફાળવણી પર ભુજના દુકાનદારો જ્યારે સહમત નહોતા ત્યારે તેમના દ્વારા આપવામાં આવેલા ઓર્ડર પર જસ્ટિસ શાહ કહે છે કે, હવે તમે કચ્છના શહેરોની સ્થિતિ જુઓ, તે ઓર્ડરના અદ્દભુત પરિણામ મળ્યા છે. તેમણે મજૂરો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચે થયેલા ડિસ્પ્યુટનું ઉદાહરણ આપીને કહ્યું કે, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચીફ તરીકે મેં વર્કર્સ અને ડિપાર્ટમેન્ટને એકસાથે બેસાડીને વાત કરાવી. સરકાર વનટાઈમ વળતર આપવા તૈયાર થઈ. લગભગ 546 વર્કર્સને લગભગ 7-8 કરોડ રુપિયા વળતર મળશે અને આગામી લોક અદાલતમાં કેસ મુકવામાં આવશે. હું હંમેશા બેલેન્સ જાળવી રાખવાનો પ્રયત્ન કરુ છું.

જસ્ટિસ શાહે જણાવ્યું કે, નાગરિકોએ પણ ટ્રાફિક ડ્રાઈવમાં સહયોગ આપવો પડશે. લોકોએ શહેરને પોતાનું માનવું પડશે. મેં મારી ફરજ બજાવી છે. મેં ક્યારેયબીજા કરી લેશે કામવાળી વિચારધારાને પ્રોત્સાહન નથી આપ્યું. હું સંતુષ્ટિ સાથે કોર્ટ છોડીશ.

(5:19 pm IST)