Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

યુપી - બિહાર શેલ્ટર હોમની દુષ્કર્મની ઘટના તાજી જ છે ત્યાં

અમદાવાદના એક અનાથ આશ્રમમાં બે છોકરીઓએ કરી સતામણીની ફરિયાદ

અમદાવાદ તા. ૧૧ : ઉત્તરપ્રદેશ અને બિહારના શેલ્ટર હોમમાં થયેલી દુષ્કર્મની ઘટના સામે લોકોનો રોષ હજુ તો શમ્યો નથી ત્યાં જ અમદાવાદના જુહાપુરામાં આવેલા એક અનાથ આશ્રમની બે છોકરીઓએ સતામણીની ફરિયાદ નોંધાવી છે. અન્ય ૩ છોકરીઓએ પણ સિકયુરિટી ગાર્ડ સામે પ્રાર્થના ન કરવા બદલ માર મારવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ દાખલ કરનારી તમામ છોકરીઓ સગીર વયની છે.

શુક્રવારે શહેર પોલીસે પ્રાઈવેટ ટ્રસ્ટ અને સરકારની મદદથી ચાલતા અનાથ આશ્રમના હોદ્દેદાર અરશદ સિદ્દીકી સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે અરશદ સામે મોલેસ્ટેશન અને POCSO (પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સિસ) એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. સિકયુરિટી ગાર્ડ શોએબ સિદ્દીકી સામે છોકરીઓની શારીરિક પજવણીનો કેસ દાખલ કર્યો છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે કહ્યું કે, 'અરશદ સિદ્દીકીએ બે છોકરીઓ સાથે દુર્વ્યવહાર કર્યો છે, જયારે શોએબે તેમને જબરદસ્તી પ્રાર્થના કરવાનું કહ્યું. છોકરીઓને ફરિયાદ છે કે તેમને અનાથ આશ્રમ સાફ કરવાનું પણ કહેવાતું હતું અને જો તે ના પાડે તો સિકયુરિટી ગાર્ડ શોએબ મારતો હતો. આરોપીઓ સામે કડક પગલા લેવામાં આવશે.' અનાથ આશ્રમનો હોદ્દેદાર અરશદ અત્યારે વિદેશમાં ધાર્મિક યાત્રાએ ગયો હોવાથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

અમદાવાદના કલેકટર વિક્રાંત પાંડેએ કહ્યું કે, 'ઉત્તરપ્રદેશ અને બિહારના શેલ્ટર હોમમાં થયેલી ઘટનાઓ બાદ લોકોમાં ફાટી નીકળેલા રોષને પગલે અહીં શેલ્ટર હોમ અને અનાથ આશ્રમમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી છે. આ અનાથ આશ્રમમાં ૧૮ છોકરીઓ રહે છે, જેમાંથી ૫ છોકરીઓએ ચેકિંગ દરમિયાન આ ફરિયાદ નોંધાવી.' જિલ્લાના ચાઈલ્ડ પ્રોટેકશન યુનિટના હેડ પલક જાડેજાએ કહ્યું કે, 'અવ્યવસ્થા મળી આવતા મહિલા (પશ્ચિમ) પોલીસ સ્ટેશનમાં ૩ છોકરીઓ સાથે શારીરિક અડપલા અને બે છોકરીઓ સાથે સતામણીની ફરિયાદ નોંધાવી છે.'

સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, અનાથ આશ્રમના અન્ય એક કર્મચારીએ સતામણીની ફરિયાદ નોંધાવી તે બાદ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે બે છોકરીઓ સાથે મોલેસ્ટેશન થયું છે તેમને ઓઢવ શેલ્ટર હોમમાં મોકલી દેવાઈ છે. DCP પન્ના મોમાયા સહિતના મહિલા પોલીસકર્મીઓએ આ મામલે મૌન સેવ્યું છે. ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષા જાગૃતિ પંડ્યાએ કહ્યું કે, આ મામલે રિપોર્ટ મંગાવ્યો છે.(૨૧.૮)

(10:29 am IST)