News of Tuesday, 10th November 2020
અમદાવાદ :રાજ્યમાં આદિવાસી અને પછાત વિસ્તારોમાં આવેલી સ્કૂલો, છાત્રાલયો અને આંગણવાડીઓમાં બાળકોને નાસ્તો અને જમવાનું પૂરું પાડવા માટેની કામગીરીમાંથી સેલ્ફ હેલ્પ મહિલા ગ્રુપ અને મહિલા મંડળ દ્વારા ચાલતી સખી મંડળોને બાકાત કરવાના સરકારના વિવાદિત નિર્ણય અને ટેન્ડર પ્રક્રિયાને પડકારતી જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. જેની સુનાવણીમાં જસ્ટિસ વૈભવી નાણાવટીએ રાજ્ય સરકાર, રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ, નર્મદા જિલ્લાના પ્રોજેક્ટ ઓફિસર અને ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ રેસીડેન્સીયલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સોસાયટીના એજ્યુકેશન ઓફિસર વિરુદ્ધ કારણદર્શક નોટિસ જારી કરી છે. આ સમગ્ર કેસની વધુ સુનાવણી તારીખ 24મી નવેમ્બરે રાખી છે.
નર્મદા જિલ્લાની જય માતાજી સખી મંડળના સંચાલક સરોજબેન તડવી દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. અરજદારપક્ષ તરફથી એડવોકેટ શ્રીકાંત પી. હસુરકરે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના આદિવાસી અને પછાત વિસ્તારોમાં આવેલી શાળાઓ, છાત્રાલય અને આંગણવાડીઓમાં બાળકોને બે ટાઇમ નાસ્તો અને ભોજન પૂરું પાડવા માટે વિવિધ સખી મંડળોને સમગ્ર કામગીરી સોંપવા અંગેના ખુદ સરકારે ઠરાવો કરેલા છે. અગાઉ ખુદ સુપ્રીમકોર્ટ ચુકાદામાં આદિવાસી તેમજ પછાત વિસ્તારોમાં આવેલી આંગણવાડીઓ શાળાઓ અને છાત્રાલયમાં બાળકોને નાસ્તો અને જમવાનું પૂરું પાડવા માટેની કામગીરી સખી મંડળોને જ સેવા આપવા ઠરાવ્યું હતું અને કોન્ટ્રાક્ટરોને આ વ્યવસ્થામાંથી દુર રાખવા અથવા તો બાકાત રાખવા સ્પષ્ટ નિર્દેશો કર્યા હતા.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને આધારે ગુજરાત સરકારે પણ સમયાંતરે નીતિવિષયક નિર્ણય લઇ જુદાજુદા ઠરાવ મારફતે રાજ્યના આદિવાસી અને પછાત વિસ્તારોમાં આવેલી સ્કૂલો, આંગણવાડીઓ અને છાત્રાલયમાં બાળકોને નાસ્તો અને જમવાનું પૂરું પાડવા માટેની કામગીરી સખીમંડળોને જ સોંપવાની નીતિ અમલી બનાવી હતી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ તેમજ ખુદ સરકારના ઠરાવો છતાં સરકારના સંબંધિત સત્તાવાળાઓ દ્વારા સરકારના ઠરાવો અને સુપ્રીમ કોર્ટના ચુકાદા તેમજ માર્ગદર્શિકાઓનું સરેઆમ ઉલ્લંઘન કરીને ઉપરોક્ત કામગીરીમાંથી સખી મંડળોને બાકાત કરવાનો બહુ ખતરનાક અને ગંભીર કારસો રચાઈ રહ્યો છે. એટલું જ નહીં સંબંધિત સત્તાવાળાઓ દ્વારા પાછલા બારણે આ સમગ્ર કામગીરીમાં કોન્ટ્રાક્ટરોને સામેલ કરવાની હીન ભાવના પણ સામે આવી રહી છે.
અરજદારપક્ષ તરફથી નર્મદા જિલ્લાના રાજપીપળાના પછાત વિસ્તારમાં આવેલી સ્કૂલો, છાત્રાલયના બાળકોને નાસ્તો ભોજન પૂરું પાડવાની કામગીરીમાંથી સખી મંડળો આપોઆપ બાકાત થઇ જાય તેવી સંબંધિત સત્તાવાળાઓની બિન વ્યવહારુ અને આકરી ટેન્ડર શરતોને લઈને ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. અરજદારપક્ષ તરફથી એડવોકેટ શ્રીકાંત પી. હસુરકરે હાઇકોર્ટનું ધ્યાન દોરતા ખાસ જણાવ્યું કે, સંબંધિત સત્તાવાળાઓ દ્વારા સખીમંડળો માટે છેલ્લા બે વર્ષથી બિલકુલ ગેરબંધારણીય, અતાર્કિક અને બિનવ્યવહારુ શરતો લાદી તેમને આ કામગીરીમાંથી બાકાત કરવાનો કારસો રચાયો છે. સેલ્ફ હેલ્પ મહિલા ગ્રુપ અને મહિલા મંડળ દ્વારા ચાલતા સખીમંડળો માટે ત્રણ વર્ષમાં રૂપિયા દોઢ કરોડનું ટર્નઓવર, પીએફ નંબર, જીએસટી નંબર રજુ કરવા સહિતની આકરી શરતો લાદી સખી મંડળોને આ સમગ્ર પ્રક્રિયામાં દૂર કરી દેવાનો હીન પ્રયાસ થઈ રહ્યો છે.