Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

પૂર્વ કેબિનેટ મંત્રી નરોત્તમ પટેલના પુસ્તકનું વિમોચન વિજયભાઈના હસ્તે થશે

હેમેન ભટ્ટ સંપાદિત પુસ્તકનો રવિવારે વિમોચન સમારોહ

રાજકોટ,તા.૧૦: ગુજરાતના પૂર્વ કેબિનેટ પ્રધાન નરોત્તમભાઈ પટેલ લિખિત પુસ્તક ''અંતરના ઝરૂખેથી''નો વિમોચન સમારોહ કાલે રવિવાર તા.૧૧ની સાંજે ૪ વાગે કન્વેન્શન હોલ, વીરનર્મદ દક્ષિણ ગુખજરાત યુનિવર્સિટી, ઉધના- મગદલ્લા રોડ, સુરત ખાતે યોજાશે. પુસ્તકનું વિમોચન મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે થશે.

આ અંગે નરોત્તમભાઈ પટેલે જાણકારી આપતા કહ્યું હતું કે, મારા આ પુસ્તક ''અંતરના ઝરૂખેથી''નું સંપાદન રાજકોટના પત્રકાર હેમેન ભટ્ટ કર્યુ છે. આ વિમોચન સમારંભના અધ્યક્ષસ્થાને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રહેશે. જયારે અતિથિ વિશેષ પદે નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલ રહેશે.

એ ઉલ્લેખનિય છે કે, તા.૧૧ જુલાઈના રોજ નરોત્તમભાઈ પટેલનો ૮૫મો જન્મદિન પણ છે. શ્રી નરોત્તમભાઈ દ્વારા આ પુસ્તક વિનામૂલ્ય અપાશે. આ પુસ્તકનું વિતરણ, વિમોચન સમારંભ પૂરો થયા બાદ સુરત, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને મહેસાણામાં પુસ્તક વિતરણ સમારંભ યોજીને અપાશે અમે હેમેન ભટ્ટે જણાવ્યું છે.

'અંતરના ઝરૂખેથી....' એ પુસ્તક ગુજરાતના પૂર્વ કેબિનેટ પ્રધાન નરોત્તમભાઈ પટેલની જીવન કહાણી છે. તેમાં રાજકીય ક્ષેત્રે કારર્કિદી ઘડવા ઈચ્છનાર યુવાનો અને યુવતીઓને શ્રેષ્ઠ માર્ગદર્શન મળે તેમ છે.

નરોત્તમભાઈએ આ પુસ્તકમાં પોતાના બાળપણની વાતોથી લઈ, સુરત આવ્યા, સરકારી કોન્ટ્રાકટર બન્યા, આનયાસે અટલ બિહારી વાજપેઈને રૂ.૧૧ લાખની થેલી અર્પણ કરવા સ્ટેજ પર જવું પડયું. પછી સુરત શહેર ભાજપના પ્રમુખ બન્યા. ધારાસભ્ય બન્યા કેબિનેટ પ્રધાન મંડળમાં સ્થાન મળ્યું. સ્વ.કેશુભાઈ પટેલ અને નરેન્દ્રભાઇ મોદીના પ્રધાન મંડળમાં નરોત્તમભાઈએ જુદાં- જુદાં વિભાગના પ્રધાન તરીકે ઉમદા કામગીરી કરી તેનો ચિતાર રજૂ કર્યો છે.

આ પુસ્તકના સંપાદક, રાજકોટના પીઢ પત્રકાર હેમેન ભટ્ટના જણાવ્યા અનુસાર શ્રી નરોત્તમભાઈએ આ પુસ્તકમાં રાજકારણ ક્ષેત્રે કારર્કિદી ઘડવા ઈચ્છતા યુવાનોને માર્ગદર્શન તો આપ્યું છે. સાથોસાથ લાલબત્તી ધરતા લખ્યું છે કે, જો લપસણા પ્રલોભનો સુંવાળા સંબંધો, ભ્રષ્ટ્રાચારવાળું જીવન સ્વીકાર્યુ તો દયાજનક અંત નકકી માનજો. હેમેન ભટ્ટના જણાવ્યા મુજબ નરોત્તમભાઈને આ પુસ્તકમાં કેશુભાઇ પટેલ અને શંકરસિંહ વાઘેલાની કાર્ય પધ્ધતિમાં તફાવતથી માંડી, શુધ્ધ રાજકારણ અને અશુધ્ધ રાજકારણની વ્યાખ્યા પણ લખી છે. નરેન્દ્રભાઈ મોદી કેશુભાઈ પટેલની તરફેણ કરતા હતા. તેમજ મોદી પોતે મુખ્યપ્રધાન કેવી રીતે બની ગયા. તેની પણ રસપ્રદ વાતો આ પુસ્તકમાં લખી છે. એમ હેમેને ભટ્ટે અંતમાં જણાવ્યું છે.

(3:05 pm IST)