Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યુ

ડાયા બિટીસ-અલ્ઝાઇમર વગેરેમાં બ્રાહ્મી ફાયદેમંદ

અમદાવાદ, તા.૧૦: માનવ શરીરમાં વિકાસથી લઈને બાયોકેમિકલ્સ વચ્ચે બેલેન્સ જાળવવા માટે પ્રોટીન મહત્વનો ભાગ ભજવે છે. જયારે શરીરમાં પ્રોટીનનું એકત્રીકરણ થાય અથવા તો તેમાં કોઈ ગરબડ થાય ત્યારે અલ્ઝાઈમર, પાર્કિન્સન તેમજ ટાઈપ ૨ ડાયાબીટિસ જેવી બીમારીઓ ઘર કરી જાય છે

ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (GFSU)ની રિસર્ચ ટીમ જરનલ ઓફ બાયોમોલેકયુલર સ્ટ્રકચર એન્ડ ડાયનામિકસે પોતાના રિસર્ચ પેપરમાં દાવો કર્યો છે કે પ્રાચીન ઔષધિ બ્રાહ્મી પ્રોટીનના એકત્રીકરણ અને તેમાં થયેલી ગરબડને યોગ્ય કરવામાં અસરકારક છે. GFSUના ફોરેન્સિક બાયોલોજી એન્ડ બાયોટેકનોલોજી લેબોરેટરીના પ્રોફેસર સતિષ કુમાર, નીલકંઠ વર્મા અને હિમાંશી કુક્રેતી તેમજ થાંજાવુરની SASTRA યુનિવર્સિટીના પ્રોફેસર વિજય કે. રવીએ રિસર્ચ પેપર બહાર પાડ્યું છે.

'અમે સ્ટડી માટે લાઈસોઝાઈમ પ્રોટીન લીધું અને તેના એકત્રીકરણ પર તેની અસરને સમજવા માટે સામાન્ય રીતે ઉપલબ્ધ એવી બ્રાહ્મીના અર્ક સાથે તેનો પ્રયોગ કર્યો. તે લેબ પ્રયોગ હતો પરંતુ તેનું પરિણામ પ્રોત્સાહન પૂરું પાડનાર હતું. નોંધપાત્ર આડઅસરોની સાથે કૃત્રિમ દવાઓની સરખામણીમાં પ્રાકૃતિક મૂળ અને ઉચ્ચ બાયો-સુસંગતતાને લીધે બ્રાહ્મી ઉત્ત્।મ વિકલ્પ છે. આગળના અભ્યાસ માટે હવે માનવ શરીર પર તેનું પરીક્ષણ કરાશે'. તેમ GFSUના અસોસિએટ પ્રોફેસર સતિષ કુમારે જણાવ્યું.

અલ્ઝાઈમર અને પાર્કિન્સન જેવી બીમારી પ્રોટીનના એકત્રીકરણના કારણે થાય છે, જે ન્યૂરોનલ અને અન્ય સેલને નષ્ટ કરે છે. આ બીમારી પહેલા જ શરૂ થઈ જાય છે, જે ખાસ કરીને મોટી ઉંમરની વ્યકિતમાં વધારે જોવા મળે છે. શોધકર્તાઓના કહેવા પ્રમાણે જે રીતે ભારતમાં લાઈફસ્ટાઈલ અને મેડિકલ સર્વિસમાં સુધારો થઈ રહ્યો છે તે રીતે ભવિષ્યમાં આવી બીમારીઓનો નોંધપાત્ર બોજો અનુભવીશું અને આ પ્રકારે સંબંધિત બીમારીઓની સારવાર માટે નવા રસ્તાઓ ખોલીશું.

(10:07 am IST)