Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

નર્મદા:ચોમાસાએ વિદાય લીધી છતાં મોટી દેવરૂપણ ગામને જોડતો માર્ગ આજે પણ ઉકાઈ જળાશયના પાણીમાં ગરકાવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ચોમાસા એ વિદાય લિધીને સમય વીતી જવા આવ્યો તેમ છતા સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામને જોડતા માર્ગ ઉપર હજી પણ ઉકાઈ જળાશયના પાણી ફરી વળ્યા હોઈ લોકોએ ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે પ્રતિવર્ષ આ સમસ્યા ઉભી થતી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.જો સમસ્યાનો ઉકેલ ન લવાશે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ ગ્રામજનો દ્વારા જણાવાઈ રહ્યું છે.
  સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામને જોડતો રસ્તો પ્રતિવર્ષ ચોમાસા દરમ્યાન ઉકાઈ જળાશયના પાણીથી ગરકાવ થઈ જાય છે જેના કારણે ગ્રામજનોને અવરજવર માટે ભારે હાલાકીઓનો સામનો કરવાનો વારો આવે છે , છતાં સ્થાનિક વહીવટી તંત્ર નિષ્ક્રિયતા દાખવી રહ્યું છે.ગામમાં અવરજવર માટેનો આ એકમાત્ર રસ્તો હોઈ પાણી ફરી વળતા રસ્તો બંધ થઇ જાય છે.હવે તો ચોમાસએ વિદાય લીધી ને ખાસ્સો એવો સમય પસાર થયો છતાં ગામને જોડતા આ રસ્તા ઉપર હજી પણ ઉકાઈ જળાશયના પાણી ફરી વળ્યાં હોઈ રસ્તો પાણીમાં ગરકાવ થયેલો છે.જેના કારણે આરોગ્ય માટેની 108 જેવી સુવિધા પણ ઉપલબ્ધ થતી નથી, તો બીજી બાજુ શાળા કોલેજ જવા માટે વિદ્યાર્થીઓ પણ મજબુર બનતા હોય છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ બજારમાં ખરીદવા જવા આવવા માટે વાહન વ્યવહાર પણ બંધ થઇ જાય છે.
  એક તરફ દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી આઝાદી કા અમૃત મહોત્સવની ઊજવણી કરી રહ્યો છે ત્યારે બીજી તરફ આજેપણ સાગબારા તાલુકાના કેટલાક એવા ગામો પણ છે જયાં આજેપણ એસટી બસ સહિત રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ નથી.લોકોએ 5 થી 10 કિમિ ચાલીને જવું પડે છે. જેમાંથી મોટી દેવરૂપણ ગામ પણ બાકાત નથી.ત્યારે મોટી દેવરૂપણ ગામની આ સમસ્યા પ્રતિવર્ષ સર્જાતી હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈજ પગલા લેવામાં આવતા નથી.ખેતી કામે જતા ખેડૂતો, દૂધ ભરવા જતી મહિલાઓ,ધંધાર્થે જતા લોકો સહિત આરોગ્યને લાગતી સમસ્યાઓ માટે જવા આવવા પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે.
  સાગબારા તાલુકાના બની બેઠેલા નેતાઓને મોટી દેવરૂપણ ગામની સમસ્યા પ્રત્યે અજાણ હોઈ તેવું લાગી રહ્યું નથી કે પછી તેની જાણ હોવા છતાં તેઓ તેને નજર અંદાજ કરી રહ્યા છે. તો બીજી તરફ વહીવટી તંત્ર પણ આંખ આડા કાન કરી સમસ્યાઓનો ઉકેલ લાવવા કોઈજ પગલા લેવામાં માનતું નથી.ત્યારે અહીંની પ્રતિવર્ષ સર્જાતી સમસ્યાનો અંત ક્યારે આવશે તેવું ગ્રામજનો દ્વારા પુછાય રહ્યું છે.મોટી દેવરૂપણ ગામને જોડતો રસ્તો ઉકાઈ જળાશય ના પાણી માં ગરકાવ હોઈ ગ્રામજનોએ ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે, વારંવારની રજૂઆતોનું કોઈજ નક્કર પરિણામ મળતું નથી. શુ આજ છે ગુજરાત વિકાસ મોડેલ ?  સરકાર દ્વારા વિકાસ વિકાસ ના માત્ર પોકળ દાવાઓ જ કરવામાં આવે છે જ્યારે અહીં વાસ્તવિકતા કંઈક અલગ જ છે

(10:19 pm IST)