Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

તૌકિરને સાથે રાખીને વન્યોમાં કરવામાં આવેલુ રિકન્સ્ટ્રકશન

પાવાગઢ જંગલોમાં ત્રાસવાદી કેમ્પોમાં જોડાયો હતો : તૌકિર ૨૦ દિવસના રિમાન્ડ પર : પાવાગઢના જંગલોમાં ખુંદપીર દરગાહ, મીનાર મસ્જિદ ખાતે રિકન્સ્ટ્રકશન થયુ

અમદાવાદ,તા. ૭ : જૂલાઇ-૨૦૦૮માં અમદાવાદ શહેરમાં ૨૦થી વધુ જુદી જુદી જગ્યાઓ પર થયેલા શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટના ચકચારભર્યા આંતકવાદી હુમલાની ઘટનામાં મોસ્ટ વોન્ટેડ આંતકવાદી અબ્દુલ સુભાન કુરૈશી ઉર્ફે કાસીમ ઉર્ફે જાકીર ઉર્ફે કબ તૌકિર હાજી ઉસ્માન કુરૈશીને એટીએસના અધિકારીઓ પાવાગઢના જંગલોમાં પહોંચ્યા હતા અને તેન સાથે રાખીને વિવિધ સ્થળોએ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું હતું. પોલીસે પાવગઢના જંગલોમાં ખુંદપીરની દરગાહ, મીનાર મસ્જિદ સહિતના સ્થળોએ રિકન્સ્ટ્રકશન હાથ ધર્યું હતું અને આંતકવાદી અબ્દુલ સુભાન કુરૈશીએ સીમી દ્વારા આયોજિત કેરાલાના વાઘોમન કેમ્પમાં ડિસેમ્બર-૨૦૦૭માં અને જાન્યુઆરી-૨૦૦૮માં હાલોલ-પાવાગઢના જંગલોમાં થયેલ આંતકવાદી તાલીમ કેમ્પોમાં ભાગ લીધો હતો અને તેણે ત્યાં જેહાદી ભાષણો પણ આપ્યા હતા તે સંબંધી બહુ જ મહત્વની અને સંવેદનશીલ માહિતીઓ મેળવી હતી. આંતકવાદી અબ્દુલસુભાન તૌકિર ઇન્ડિયન મુજાહિદ્દીનના આંતકવાદીઓને તૈયાર કરતો હતો અને બ્લાસ્ટ સહિતના આંતકવાદી હુમલાઓની તાલીમ માટે બહુ મહત્વની મદદ કરતો હતો. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે આંતકવાદી તૌકીરને ઝડપી લીધા બાદ ક્રાઇમબ્રાંચ તેને અહીં લહીને આવી હતી અને કોર્ટમાંથી તેના ૨૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. દરમ્યાન આજે એટીએસના અધિકારીઓ બુલેટપ્રુફ વાનમાં લોખંડી સુરક્ષા કવચ વચ્ચે આંતકવાદી  તૌકિરને પાવાગઢના જંગલોમાં લઇ જવાયો હતો અને તેને સાથે રાખીને રિકન્સ્ટ્રકશન કરાયું હતું. દેશભરના આંતકવાદી હુમલાઓ પૈકીના મોટાભાગના હુમલાઓમાં આંતકવાદી અબ્દુલ સુભાન કુરૈશીની સીધી કે આડકતરી સંડોવણી હતી. આંતકી અબ્દુલ સુભાન કુરૈશીને દુનિયાના ટોપ બોમ્બર્સમાં સામેલ કરવામાં આવતો હતો અને તેને ભારતનો ઓસામા બિન લાદેનના નામથી પણ ઓળખવામાં આવતો હતો કારણ કે, દેશના ઘણા બધા આંતકી હુમલામાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલો રહેતો હતો. તૌકીર ૨૦૦૬ના મુંબઇ ટ્રેન બ્લાસ્ટમાં પણ સંડોવાયેલો હોવાનું મનાઇ રહ્યું છે. તે સીમીનો ટોપ કમાન્ડર હતો, તેણે અન્ય આંતકવાદીઓની મદદથી ઇન્ડિયન મુઝાહિદ્દીનની શરૂઆત કરી હતી. દિલ્હી, ગુજરાત, બેંગ્લુરૂ, જયપુર અને મહારાષ્ટ્રના બ્લાસ્ટ તેમ જ આંતકી હુમલાઓ સહિતના અનેક ગંભીર આંતકવાદી ગુનાઓમા તે મોસ્ટ વોન્ટેડ હતો.            ગત જૂલાઇ-૨૦૦૮માં અમદાવાદ શહેરમાં ૧૬થી વધુ અલગ-અલગ સ્થળો પર સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા, આ ખતરનાક આંતકવાદી હુમલામાં ૫૮થી વધુ લોકોના મોત થયા હતા અને ૨૪૦થી વધુ લોકોને ઇજા પહોંચી હતી, જયારે સુરતમાં મોટાપાયે બોંબ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા જો કે, ત્યાં બ્લાસ્ટ પહેલાં જ કાવતરૂ નિષ્ફળ બનાવી દેવાયું હતું. દેશભરમાં ખળભળાટ મચાવી દેનારા આ સિરિયલ બ્લાસ્ટ કેસમાં મુખ્ય સૂત્રધાર અબ્દુલ સુભાન કુરૈશી ઉર્ફૈ તૌફિ૨નું નામ બહાર આવ્યું હતું અને તે છેલ્લા દસ વર્ષથી મોસ્ટ વોન્ટેડ આંતકવાદી બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, મૂળ ઉત્તરપ્રદેશના રામપુર ગામનો વતની અબ્દુલ સુભાન હાલ મુંબઇ મીરારોડ પર રહેતો હતો અને ત્યાં તેનું એક મકાન પણ છે. તેના પિતા અગાઉ ભાયખલ્લા રહેતા હતા. તે સીમીનો સક્રિય કાર્યકર અને ઇન્ડિયન મુજાહિદ્દીન આંતકવાદી સંગઠનનો ફાઉન્ડર મેમ્બર બન્યો હતો. સને ૧૯૯૫માં નવી મુંબઇ સ્થિત ભારતીય વિદ્યાપીઠ ખાતેથી તેણે ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સની ડિગ્રી મેળવી હતી.

 

કોમ્પ્યુટર સોફ્ટવેરમાં તે પાવરધો છે અને બોંબ બનાવવાની ઇલેકટ્રીક સર્કિટ બનાવવામાં તે એક્ષ્પર્ટાઇઝ માસ્ટરી ધરાવે છે. નવેમ્બર-૧૯૯૬માં તે રેડિકલ સોલ્યુશન કોમ્પ્યુટર ફોર્ટ વિસ્તાર,મુંબઇ ખાતે નોકરી માટે જોડાયો હતો. અબ્દુલ સુભાન સીમી અને આઇએમની કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને તેની આંતકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય સંડોવણીની ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. આંતકવાદી તૌકીર બ્લાસ્ટ પહેલાં વટવા વિસ્તારમાં ગપ્ત સાહેદના મકાનમાં રોકાયો હતો. બાદમાં પાકિસ્તાન જતો રહ્યો હતો. 

 

(7:33 pm IST)