Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

૨૫ વર્ષના પુત્રના ભરણપોષણની જવાબદારી પિતાની નહી

હાઇકોર્ટનો અસામાન્ય - મહત્વનો ચૂકાદો

અમદાવાદ તા. ૭ : એક અસામાન્ય કેસમાં મહત્વનો ચુકાદો આપતાં હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, '૨૫ વર્ષના પુખ્તવયના પુત્રને ભરણપોષણ આપવાની જવાબદારી પિતા ઉપર થોપી શકાય નહીં. જો તેને ભરણપોષણની રકમ જોઇતી હોય તો તેને તમામ જરૂરી દસ્તાવેજો, તબીબી સહિતના પુરાવા સાથે સંબંધિત કોર્ટ સમક્ષ અરજી કરવી પડે.' બોડકદેવ વિસ્તારના BJPના યુવા મોરચાના ૨૫ વર્ષીય નેતા પાર્શ્વ પરીખને ભરણપોષણની રકમ આપવા, વધારવાની દાદ માંગતા તેની માતાએ હાઇકોર્ટ સમક્ષ ત્રણ અરજીઓ કરી હતી. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે આ ત્રણેય અરજીઓને રદ કરતાં એવું માર્મિક અવલોકન પણ કર્યું હતું કે, 'આ કેસમાં પિતા અને પુત્ર બંને કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયાં હતાં ત્યારે એક ભયભીત પિતા નેતા પુત્ર સમક્ષ ઊભાં હોય તેવા દ્રશ્યો ઉદ્ભવ્યાં હતાં.'

આ કેસમાં પાર્શ્વના માતા વર્ષાબહેને ફેમિલી કોર્ટના આદેશોને હાઇકોર્ટ સમક્ષ પડકાર્યા હતા. ફેમિલી કોર્ટે ત્રણ અરજીઓમાં આદેશ કર્યો હતો કે, 'જો ૨૫ વર્ષની પુખ્ત ઉંમરના પુત્રને તબીબી કારણોસર ભરણપોષણ જોઇતું હોય તો તે સિવિલ હોસ્પિટલના મેડિકલ બોર્ડ અથવા સર્જન જોડે તપાસ કરાવે.' બીજા આદેશમાં પુત્ર માટે ભરણપોષણની રકમમાં વધારો કરવાનો ફેમિલી કોર્ટે ઇન્કાર કરી દીધો હતો. ત્રીજા આદેશમાં ફેમિલી કોર્ટે મેડિકલ રિઅમ્બર્સમેન્ટ મેળવવું હોય તો પણ પુત્રને હોસ્પિટલના બોર્ડ દ્વારા તપાસ કરાવવાનો આદેશ કર્યો હતો. આ ત્રણેય આદેશથી નારાજ થઇ પાર્શ્વની માતાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં દલીલ કરી હતી કે, 'ફેમિલી કોર્ટના આદેશ ભૂલભરેલાં હોવાથી હાઇકોર્ટે એમાં હસ્તક્ષેપ કરીને તેમની દાદને મંજૂર કરવી જોઇએ.'

પિતા વિપુલભાઇ તરફથી એવા મુદ્દા રજૂ કરાયા હતા કે, 'તેમનો પત્ની સાથે લગ્નસંબંધી વિવાદ ચાલી રહ્યો છે. તેમના બે પુત્રો છે. મોટો પુત્ર પરિણીત છે અને પોતાના જીવનમાં સ્થિર છે. નાનો પુત્ર પાર્શ્વ પણ પુખ્તવયનો છે. તેથી પુત્રોને ભરણપોષણ આપવા માટેની પિતા પર કોઇ કાયદાકીય જવાબદારી બનતી નથી.લૃ પિતાની એવી દલીલ હતી કે,શ્નપુત્ર પાર્શ્વ સક્રિય રાજકારણી છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે. કોર્ટ સમક્ષ રજૂ કરાયેલાં ૩૫ ફોટોગ્રાફસમાં પાર્શ્વ ભાજપના અગ્રણીઓ સાથે દેખાય છે. ત્યારે તેને કોઇ પ્રકારની આર્થિક મદદની જરૂર જણાતી ન હોવાથી તમામ અરજીઓ રદ કરવી જોઇએ.'

 જસ્ટિસ ઉપાધ્યાયે આદેશ કરતાં નોંધ્યું હતું કે, 'ફેમિલી કોર્ટના આદેશમાં કોઇ ખામી જણાતી નથી. તબીબી તપાસ માટે ઓથોરિટી સમક્ષ જવાનો પુત્રનો ખચકાટ તેના પક્ષની સત્યતામાં અભાવ દર્શાવે છે. જો પુખ્તયવના પુત્રને પિતા જોડેથી ભરણપોષણ જોઇતું હોય તો તેણે અરજી કરવી જોઇએ.' આ સાથે હાઇકોર્ટે ફેમિલી કોર્ટના આદેશમાં હસ્તક્ષેપનો ઇન્કાર કરતાં ત્રણેય અરજીઓ રદ ઠેરવી હતી.

હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, 'નોંધપાત્ર છે કે પાર્શ્વએ દાવો કર્યો છે કે તે BJPના નેતા છે. યુવા મોરચાનો એકિઝકયુટિવ મેમ્બર છે. FB પર તેના ૨૦૦૦થી વધુ ફોલોઅર્સ છે અને અનેક ફોલોઅર્સ માટે આદર્શ છે. તે 'પાર્શ્વપરીખફેન કલબ' જેવા બે જુદાજુદા પેજ મેનેજ કરે છે. સામાજિક સેવા પણ કરે છે.'

(3:09 pm IST)