Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

આણંદના કૈલાશભૂમિ નજીક સર્જાયેલ ગોજારી અકસ્માતમાં સ્મશાનના ચોકીદારનું કમકમાટી ભર્યું મોત

આણંદ:શહેરમાં કૈલાસ ભૂમિ સામેના માર્ગ પર આજે રાત્રિના સાડા નવેક વાગ્યાના સુમારે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં સ્મશાનના ચોકીદારનું સ્થળ પર કરૂણ મોત નીપજયું હતું. જેમાં હાથલારી લઇને રસ્તો ક્રોસ કરતા ચોકીદાર એકટીવાચાલક સાથેના અકસ્માતમાં રોડ પર પટકાયા હતા. દરમ્યાન પૂરપાટ આવતી આઇશર ટેમ્પોની ટકકરે ચોકીદારનું સ્થળ પર કરૂણ મોત નીપજયું હતું. 

 


પ્રાપ્ત વિગતોમાં આણંદના કૈલાસભૂમિ સ્મશાનમાં વોચમેન તરીકે ફરજ બજાવતા અને ક્રિયા કર્મનું કામ કરતા સેવાભાવી જયંતિભાઇ શનાભાઇ ગોહેલ (ઉ.વ.૪૮, રહે. વડવાળું ફળિયું, લોટિયા ભાગોળ) પોતાની કામગીરી પતાવીને હાથલારી લઇને નીકળ્યા હતા. દરમ્યાન સામેથી આવતા એકટીવા જીજે ર૩ બીજી ૯૯૪પ લારીમાં અથડાયું હતું. જેના કારણે એકાએક ધકકો વાગતા જયંતીભાઇ રોડ પર પટકાયા હતા. 

દરમ્યાન એ જ સમયે આણંદથી બોરસદ ચોકડી તરફ જતા આઇશર ચાલકે જયંતીભાઇને અડફેટે લીધા હતા. જેના કારણે માથાના ભાગે, હાથે અને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે જયંતીભાઇનું સ્થળ પર મોત નીપજયું હતું.

(6:03 pm IST)