Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

અમદાવાદના પરિવારને રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત : ત્રણ બાળકો સહિત પરીવારના પ ના મોત

ટ્રક પાછળ કાર ઘુસી ગઇ : રામદેવરા દર્શન કરવા જતા'તા : ૯ ને ઇજા

રાજકોટ તા ૬  : રાજસ્થાનના સ્વરૂપગંજથી સિરોહી જતા રોડ પર ભીમાના નજીક મંગળવારે સવારે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘુસી જતા અમદાવાદના એક જ પરિવારના ત્રણ બાળકો સહિત પ જણાના મોત નિપજયા હતા, જયારે અન્ય લોકોને ઇજા થતા સારવાર હેઠળ ખસેડાયા છે.

મધ્યપ્રદેશના શિવપુરા જીલ્લાના અરાદરા ગામના વતની અને હાલ અમદાવાદ ખાત. રહેતા યાદવ પરિવારના સભ્યો જીજે-૨૩-સીએ-૦૫૧૭ નંબરની ઇકો ગાડી લઇને સોમવારે રાત્રે અમદાવાદથી રામદેવરા દર્શનાર્થે જઇ રહ્યા હતા. મંગળવારે સવારે સ્વરૂપગંજ સિરોહી હાઇવે પરના ભીમાના નજીક ઇકો  ગાડીના ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડ પર ઉભેલી ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં ઇકો ગાડીનો ભુક્કો બોલી ગયો હતો.

રાજકુમાર પ્રહલાદભાઇ યાદવ, ફુલાતીદેવી ગણેશરામ યાદવ, તેજકરણ જબકીરામ યાદવ, ભુરારામ રણછોડભાઇ યાદવ, મમતાબેન હરિલાલ યાદવ, અફઝલ આબાદખાન, ભાવનાબેન ગણેશભાઇ યાદવ, હીનાબેન ગણેશભાઇ યાદવ, અકસ્માતમાં ઇજા પામ્યા હતા, જયારે ગણેશભાઇ રમેશભાઇ યાદવ, તેમજ હરીલાલ યાદવને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજયા હતા, જયારે લાલી ઉર્ફે રોમા હરિલાલ યાદવ તેમજ અન્ય એક ૧૧ છર્ષીય બાળક સહિત ત્રણ જણાના સારવારમાં મોત નીપજયાં હતા. ભોગ બનેલ પરિવાર અમદાવાદની કોઇ ફેકટરીમાં કામ કરતી હોવાનું જાણવા મળ્યું હતું.

(11:41 am IST)