Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત વૃદ્ધાએ લીધી હતી ચાઈનીઝ રસી

ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધા ઓમિક્રોનથી સંક્રમિત : સંક્રમિત વૃદ્ધાના સંપર્કમાં આવેલા ૧૦ લોકોએ ભારતીય રસી લીધી હતી જેમનો કોરોના રિપોર્ટ આવ્યો નેગિટિવ

રાજકોટ, તા.૫ : દુનિયાભરમાં ઓમિક્રોન વેરિયન્ટને લઈને હડકંપ મચેલો છે ત્યારે ગુજરાત સહિત દેશભરમાં કુલ ૪ કેસ નોંધાયા છે, જેમાં કર્ણાટક પછી ગઈકાલે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ એક-એક કેસ નોંધાયો છે. જામનગરમાં ઝિમ્બાબ્વેથી આવેલા ૭૨ વર્ષના વૃદ્ધા ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જીનોમ સિક્વન્સની તપાસમાં જાણવા મળ્યું છે. હવે આ વૃદ્ધાએ કોરોના સામે લડવા માટે ચાઈનીઝ રસી લીધી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ચાઈનાની કોરોના રસી સામે જે સવાલો ઉઠી રહ્યા હતા તે અંગે શંકા વધારે ઘેરી બની છે, કારણ કે કોરોનાથી બચવા માટે ઝિમ્બાબ્વેની વૃદ્ધાએ ચાઈનીઝ રસીના ડોઝ લીધા હતા. જોકે, આ અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટી થઈ નથી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં આ અંગેના અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે. રિપોર્ટ્સમાં એવું પણ સામે આવી રહ્યું છે કે, નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધ મહિલાના સંપર્કમાં આવેલા લોકોએ ભારતીય રસી સીધી છે જેમને કોરોનાનો ચેપ લાગ્યો નથી. ગુજરાતમાં ઓમિક્રોનનો કેસ સામે આવ્યા બાદ સ્થાનિક વહીવટી તંત્ર, કલેક્ટર અને મુખ્યમંત્રીએ તાત્કાલિક રિવ્યૂ મીટિંગ બોલાવીને જરુરી પગલા ભરવા માટેના આદેશ આપ્યા છે. આ સિવાય વિદેશથી આવતા મુસાફરોની ટ્રેસિંગ-ટ્રેકિંગ અને ટેસ્ટિંગની કામગીરી કરાઈ રહી છે. આ સિવાય વિદેશથી આવેલા મુસાફરોના સંપર્કમાં આવેલા લોકોને પણ શોધીને કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય શંકાસ્પદ જણાતા મુસાફરોના જીનોમ સિક્વન્સ માટે સેમ્પલ પણ મોકલવામાં આવી રહ્યા છે.

બીજી તરફ ભાવનગરમાં એક જ દિવસમાં કોરોનાના ૧૧ પોઝિટિવ કેસ આવતા લોકો ફફડાટ વ્યાપી રહ્યો છે. સરકાર દ્વારા કોરોનાના ખતરા વચ્ચે નિયમોનું કડક પાલન થાય તે માટે સૂચના આપવામાં આવી છે. કારણ કે કેસમાં ઘટાડો થતા લોકોએ નિયમો નેવે મૂકી દીધા હોય તેવું રસ્તાઓ પર અને જાહેર જગ્યાઓ પર જોવા મળી રહ્યું છે.

(7:19 pm IST)