Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

વિશ્વમાં દર મિનિટે બેનુ એર પોલ્યુશનથી મોત

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવીઃ ગુજરાતભરમાંથી ૫૦૦થી વધારે વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ, પેઇન્ટીંગ સ્પર્ધા, થ્રી ડી પ્રિન્ટરથી વિવિધ કાર્યક્રમમાં સામેલ

અમદાવાદ, તા.૫: વિશ્વ પર્યાવરણ દિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી. જુદા જુદા કાર્યક્રમનું આયોજન આજે કરવામાં આવ્યું હતું. ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે મળીને ગુજરાત સાયન્સ સીટી દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. રાજયભરમાંથી ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ, પેઇન્ટીંગ સ્પર્ધા અને થ્રી ડી પ્રિન્ટરથી ઓગમેન્ટેડ રિઆલિટીના કાર્યક્રમમાં ઉમટયા હતા. આ પ્રસંગે સાયન્સ સીટીના એકઝીકયુટીવ ડાયરેકટર એસ.ડી.વોરા, સિનિયર સાયન્ટીસ્ટ ડો.નરોત્તમ સાહુ અને એડમીનીસ્ટ્રેટર માતંગ નીમાવત(મામલતાદાર)એ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થઇ રહી છે ત્યારે આ વખતની થીમ સે નો ટુ એર પોલ્યુશન અને બીટ એર પોલ્યુશન છે, તેને ધ્યાનમાં રાખીને આ સંદેશો સમાજમાં આપણે પણ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. ભારત સહિત આજે દુનિયાભરમાં એર પોલ્યુશનની બાબત ઘણી ગંભીર અને ચિંતાજનક બની છે. વિશ્વમાં દર મિનિટે દસમાંથી બે વ્યકિતનું એર પોલ્યુશનના કારણે મોત નીપજે છે, તેથી આ વાતને હવે ગંભીરતાથી લેવી પડશે અને આપણે સૌકોઇએ એર પોલ્યુશનને નાથવા માટે બહુ અસરકારક અને આવનારી પેઢીને ધ્યાનમાં રાખીને દૂરંદેશી પગલાં લેવા પડશે. આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં સાયન્સ સીટી ખાતે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર સહિતના સ્થળોએથી ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ સાયન્સ સીટી ખાતે ઉમટયા હતા. જેઓએ સાયન્સ સીટી સંકુલમાં જ લીમડો, પીપળો, ગુલમહોર, આંબો, રેડ ટ્રી, જાંબુ સહિતના જાતજાતના વૃક્ષોના રોપાઓ અને છોડવાઓ વાવી અનોખી ઉજવણી કરી હતી. આ પ્રસંગે સાયન્સ સીટીના એકઝીકયુટીવ ડાયરેકટર એસ.ડી.વોરા, સિનિયર સાયન્ટીસ્ટ ડો.નરોત્તમ સાહુ અને એડમીનીસ્ટ્રેટર માતંગ નીમાવત(મામલતાદાર)એ જણાવ્યું હતું કે, જેવી રીતે આપણા શરીરમાં ફેફસાં શરીરના શ્વાસના શુધ્ધિકરણનું કાર્ય કરે છે બસ એ જ પ્રકારે વૃક્ષો આ પર્યાવરણના ફેફસાં છે. જે ખરાબ, કાર્બન ડાયોકસાઇડ અને અપ્રાકૃતિક હવાને શુધ્ધ કરી ઓકિસજન પૂરો પાડી વાતાવરણ અને પર્યાવરણને શુધ્ધ કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. શુધ્ધ હવા અને વાતાવરણના કારણે માનવજાતિનું આરોગ્ય પણ સારૂ રહે છે. કોઇપણ પ્રકારના પોલ્યુશનને નાથવામાં વૃક્ષોની ભૂમિકા જ મહત્વની હોય છે અને તેમાંય એર પોલ્યુશનને નાથવા માટે તો મહત્તમ વૃક્ષ ઉછેર અને વૃક્ષોની જાળવણી રામબાણ ઇલાજ છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિતે આજે ૧૦૦થી વિદ્યાર્થીઓએ આ વર્ષની થીમ સે નો ટુ એર પોલ્યુશન અને બીટ એર પોલ્યુશન વિષય પરની પેઇન્ટીંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ એનાયત કરાયા હતા.

દરમ્યાન સ્વર્ણિમ સ્ટાર્ટ અપ યુનિવર્સિટીના ડાયરેકટર જનરલ ડો. રાગીન શાહ સહિતના નિષ્ણાતોની ઉપસ્થિતિમાં થ્રી ડી પ્રિન્ટરથી ઓગમેન્ટેડ રિઆલિટી અને વર્ચ્યુઅલ રિઆલિટીના અનુભવ સાથે ગાઢ જંગલ અને વન્ય સૃષ્ટિનો અનુભવ ઉપસ્થિત વિદ્યાર્થીઓને કરાવવામાં આવ્યો હતો. આવનારી પેઢી માટે મહત્તમ વૃક્ષો વાવી શહેરી વિસ્તારમાં ગ્રીન કવર વધારવા અને એર પોલ્યુશન નાથવાનો અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ ડિજિટલ યુગની આ અનોખી ઉજવણીને લઇ પ્રભાવિત થયા હતા.

(9:59 pm IST)