Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ગુજરાત વિધાનસભાનું સત્ર તોફાની બનવાના સ્પષ્ટ સંકેત

સુરત અગ્નિકાંડ, ભીષણ જળ સંકટ મુખ્ય મુદ્દાઃ કોંગ્રેસ પાર્ટી વિજય રૂપાણી સરકારને ભીંસમા લેવા માટે પ્રયાસ કરશે : સત્રના પ્રથમ દિવસે ગુજરાતનું બજેટ રજુ

અમદાવાદ, તા. ૫: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર બીજી જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રમાં સરકાર ૨૦૧૯-૨૦ માટે બજેટ રજુ કરશે. બીજી બાજુ કોંગ્રેસ સરકારને ઘેરવા માટેના પ્રયાસ કરશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર બીજી જુલાઈથી શરૂ થયા બાદ ૨૫મી જુલાઈ સુધી ચાલશે. આ સત્ર દરમિયાન ગુજરાતનું બજેટ રજુ કરવામાં આવશે. સંસદીય બાબતોના રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના કહેવા મુજબ ૧૪મી વિધાનસભાનું ચોથુ સત્ર બીજી જુલાઈ શરૂ થઈને ૨૫મી જુલાઈ સુધી ચાલશે. સત્રના પ્રથમ દિવસે સરકાર વર્ષ ૨૦૧૯-૨૦ માટે બજેટ રજુ કરશે. ગુજરાત સરકારે લોકસભા ચૂંટણીથી પહેલા ચાર મહિના માટેનું લેખાનુદાન બજેટ રજુ કર્યું હતું. જેથી આ સત્રના પ્રથમ દિવસે વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું બજેટ રજુ કરશે. આ સત્રમાં કરવેરા સંબંધિત બીલ રજુ કરવામાં આવે તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કોંગ્રેસ પાર્ટી આ સત્ર દરમિયાન જુદા જુદા મુદ્દાઓને ઉઠાવીને સરકારને મુશ્કેલીમાં મુકવાના પ્રયાસ કરશે. કોંગ્રેસના પ્રદેશ કારોબારીની બેઠક હાલમાં જ યોજાઈ હતી જેમાં સુરત અંગ્નિકાંડમાં ૨૨ બાળકોના મોત, રાજ્યમાં પશુ માટે ચારા અને પાણી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીના સંકટ સહિતના મુદ્દા પર સરકારને ભીંસમા લેવાના પ્રયાસ કરવામાં આવશે. કોંગ્રેસની આ સત્રમાં પોતાના ધારાસભ્યો પણ નજર રહેશે. ભારતીય જનતા પાર્ટી તેમના સભ્યોને તોડી ન શકે તે માટે સાવચેતી રાખવી પડશે. ગુજરાતની બે રાજ્યસભા સીટ માટે પેટા ચૂંટણી પણ યોજનાર છે. કોંગ્રેસ પાર્ટીએ આ ચૂંટણીથી પહેલા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને  મળવા ધારાસભ્યોને મંજુરી આપી હતી. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, શાસક પક્ષના મુખ્ય નેતાઓને મળવાની કોઈ જરૂર નથી. તેમનાથી દુર રહેવાની જરૂર છે. આ જ કારણસર એમ માનવામાં આવે છે કે, વિધાનસભા સત્રના ગાળા દરમિયાન કોંગ્રેસ પાર્ટી પોતાના ધારાસભ્ય પર નજર રાખશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે આ વખતે બજેટ રજુ કરવામાં આવશે. બજેટ સત્ર ખુબ જ તોફાની બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે એવા અનેક મુદ્દાઓ છે જેને લઈને સરકારને ભીંસમા લેવાના પ્રયાસ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની કારમી હાર થઈ છે.

ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ સીટ પૈકી એક પણ સીટ ઉપર કોંગ્રેસની જીત થઈ નથી. ભાજપે તમામ ૨૬ સીટો જીતી છે. જેથી તેમનો નૈતિક જુસ્સો ઉચો દેખાઈ રહ્યો છે. સત્રને લઈને રાજકીય વતુળોમાં ચર્ચા છેડાઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ પણ કોંગ્રેસને સામનો કરવા પોતાના નીતિ તૈયાર કરી છે.

(1:08 am IST)