Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

અમદાવાદના સૈજપુર બોધાની પરિણીતાને દહેજના મામલે ત્રાસ આપી મધરાત્રે મારઝુડ કરનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: સૈજપુર બોધાની પરિણિતાને દહેજના દુષણના કારણે લગ્નના આઠ વર્ષમાં ઘર ભાગ્યું હોવાનો વધુ એક કિસ્સો બન્યો છે, દસ લાખની માંગણી કરીને  મધરાતે મારઝૂડ કરીને કાઢી મૂકવા માટે પ્રયાસ કર્યો હતો એટલું જ નહી બીજા દિવસે સવારે મહિલાને ઘરમાં પૂરી દીધી હતી અને દસ લાખ નહી લાવે તો મારી નાંખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ મહિલાએ ફરિયાદમાં કર્યો છે. આ કેસની વિગત એવી છે કે ૨૦ દિવસથી  નરોડામાં પિતાના ઘરે રહેતા ઉષાબહેન સુનિલભાઇ હર્ષપાલની (ઉ.વ.૨૯)એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સાજપુર બોધા ખાતે આર્ય સમાજ  મંદિર પાસે જૂની ચાલીમાં રહેતા પતિ સુનિલભાઇ ઘનશ્યામભાઇ હર્ષપાલની સહિત પરિવારના ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના આઠ વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્નના થોડા સમય સુધી સારી રીતે રાખવામાં આવી હતી. બાદમાં નાની નાની બાબતે તકરાર કરીને માનિસિક તેમજ શારિરિક ત્રાસ આપવામાં આવતો હતો. દસ લાખ રૃપિયાની માંગણી કરીને મહિલાને મારઝૂડ કરવામાં આવતી હતી. બાળકના જન્મ બાદ પુરતુ જવાનું આપતા ન હતા અને દવાનો ખર્ચ પણ આપતા ન હતા. જેથી છ મહિના સુધી પરિણિતા પિયરમાં રહી હતી તા. ૫ એપ્રિલ,૨૦૨૨ના રોજ તકરાર કરીને પતિ રાતે ૩ વાગે મારઝૂડ કરીને ઘરમાંથી બહાર નીકળી જવા માટે દબાણ કરતા હતા. બીજા દિવસે સવારે ફરીથી સાસરીયાએ તકરાર કરીને મારઝૂડ કરીને ઘરમાં પૂરી દીધી હતી. ફરિયાદી મહિલાના માતા-પિતાને  કહ્યુ કે દસ લાખ નહી લાવે તો મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી કે તમારે અમારી સામે ફરિયાદ કરવી  હોય તો કરો, પોલીસને ખિસ્સામાં રાખીએ છીએ  પૈસા આપીને છૂટી જઇશું.

(5:50 pm IST)