Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

કઠલાલના છીપીયાલમાં પુત્ર સાથે પરિણીતા ગૂમ થઇ જતા ચકચાર : ભારે જહેમત બાળ પોલીસે ઝાડેશ્વરમાંથી ગોતી કાઢી

કઠલાલ:તાલુકાના છીપીયાલ ગામની અને અમદાવાદ નજીકના સીંગરવામાં પરણાવેલ પરિણીતાને પતિ સાથે અણબનાવ બનતાં તે છીપીયાલ આવી ગઈ હતી. ત્યાંથી ચાર મહિના અગાઉ પોતાના બે વર્ષના બાળક સાથે ગુમ થઈ જતાં કઠલાલ પોલીસમાં જાણવાજોગ નોંધાઈ હતી. નાના બાળક સાથે ગુમ થયેલી પરિણીત યુવતિ બાબતે અનેક રહસ્ય સર્જાયા હતાં. દરમિયાન તપાસ દરમ્યાન પોલીસને મળેલ જાણકારીના આધારે ભરૂચ નજીકના ઝાડેશ્વરમાથી પરિણીતાને શોધી લાવીને તેના માતાપિતાને સોંપી હોવાનું જાણવા મળે છે. 

પ્રાપ્ત વિગતોમાં છીપીયાલમાં રહેતા રંજનબેનના લગ્ન અમદાવાદ નજીક સીંગરવામાં રહેતાં કેસરીસિંગ જુવાનસિંહ સોઢાપરમાર સાથે થયાં હતાં. તેઓને સંતાનમાં બે દિકરા છે. દરમ્યાન પતિ સાથે અણબનાવ થતા રંજનબેન પોતાના બે વર્ષીય દિકરા અમિતને લઇને છીપીયાલમાં રહેતાં તેના પિતા ઈશ્વરભાઈ ડાભીના ઘરે આવી ગઈ હતી. દરમ્યાન ગત તા. ૯ ઓગસ્ટ,ર૦઼૧૮ના રોજ રંજનબેન તેના દિકરા સાથે ગુમ થયા હતા. જેઓની પરિવારજનોએ શોધ કરવા છતાં પત્તો ના લાગતાં કઠલાલ પોલીસમાં જાણવાજોગ નોંધ આપી હતી. 

બનાવ અંગે કઠલાલ પીએસઆઈ એમ. આર. બારોટની દોરવણી હેઠળ પોસઈ જી બી પરમાર બનાવની તપાસ ચલાવતાં હતાં. તેમણે રંજનની સાસરી સીંગરવામાં તપાસ હાથ ધરતાં એવી કડી મળી હતી કે સીંગરવામાં રહેતાં અને ભાઈ બનાવેલ એક યુવકનું મોસાળ ભરૂચના ઝાડેશ્વરમાં થાય છે. ત્યાં રંજન રહે છે. જેથી પોલીસે ઝાડેશ્વર પહોંચીને રંજનબેન અને સ્મિતને શોધી કઠલાલ લઈ આવ્યાં હતાં અને ગતરોજ તેમના માતાપિતાને સોંપ્યા હતા. રંજનબેને પોતાના નિવેદનમાં પતિ સાથે અણબનાવ બનતાં તેણે આ પગલુ ભર્યું હોવાનું જણાવ્યું હતું.

(5:50 pm IST)