Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

બનાસકાંઠાના થરાદ પંથકના વાઘાસણ ગામે પંચાયત દ્વારા કનૈયાલાલની હત્‍યાના પગલે મુસ્‍લિમ ફેરીયાઓ પર પ્રતિબંધ લગાવતો પત્ર સોશ્‍યલ મીડિયામાં વાયરલ

વિવાદ બાદ પંચાયતના વહીવટદારે સ્‍પષ્‍ટતા કરી કે આ પત્ર અન્‍ય શખ્‍સ દ્વારા વાયરલ કરાયો છે

બનાસકાંઠાઃ રાજસ્‍થાનના ઉદયપુરમાં કનૈયાલાલની હત્‍યાના પગલે બનાસકાંઠાના થરાદ પંથકના વાઘાસણ ગરામ પંચાયતના લેટરપેડ પર એક પત્ર સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયો જેમાં મુસ્‍લિમ ફેરીયા પર પ્રતિબંધ ફરમાવતા વિવાદ થતા ગ્રામ પંચાયતના વહીવટદારે સ્‍પષ્‍ટતા કરી કે આ પત્ર અન્‍ય શખ્‍સ દ્વારા વાયરલ કરાયો છે.

ઉદયપુરની હત્યાના પડઘા હાલ દેશભરમાં પડી રહ્યાં છે. નુપુર શર્મા મામલે સમર્થન કરનારાઓને ધમકી મળી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ તેની જ્વાળાઓ પ્રગટી રહી છે. રાજસ્થાનમાં કન્હૈયા લાલની હત્યા બાદ બનાસકાંઠામાં એક પત્ર વાયરલ થયો છે. વાઘાસણ ગ્રુપ ગ્રામ પંચાયતનો લેટર પેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં થરાદના વાઘાસણ ગ્રુપ ગ્રામ પંચાયતે મુસ્લિમ ફેરિયાઓ પર પ્રતિબંધ લગાવાયો છે તેવો ઉલ્લેખ કરાયો છે.

પત્ર વાયરલ થયો

ઉદયપુર દરજી હત્યા મુદ્દે વિચિત્ર નિયમ કરતો લેટરપેડ સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં લખાયુ હતું કે, ગામમાં મુસ્લિમ સમાજના લોકો વસ્તુ વેચવા આવતા તેમને ગામમાં પ્રવેશ નહિ મળે. ફેરિયા પાસેથી વસ્તુ ખરીદી કરનાર ગ્રામજનો પર દંડ ફટકારવામાં આવશે. 5100 રૂપિયાની દંડની રકમ વસૂલી કરીને તે રૂપિયા ગૌશાળામાં દાન કરાશે.

વિવાદ થયા બાદ ખુલાસો કર્યો

વિવાદ બાદ વાઘાસણ ગ્રામપંચાયતના વહીવટદાર આર.આર.ચૌધરીએ સ્પષ્ટતા કરી કે, આ પત્ર હાલની વાઘાસણ ગ્રામ પંચાયત દ્વારા લખાયો નથી. કોઈ શખ્સ દ્વારા આ લેટરપેડ લઈ જઈને આ પ્રકારનું લખાણ લખ્યુ હતું. હાલમાં મફીબેન વીરાભાઈ પટેલ ગૃપ ગ્રામપંચાયતના હોદ્દા પર નથી. ગૃપ ગ્રામપંચાયતનું વિભાજન થઈને વાઘાસણ ગ્રામપંચાયત અલગ થયું છે.

જોકે, ગ્રામ પંચાયત દ્વારા બીજો પત્ર લખીને વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં લેટરપેડ પર ભૂલથી લખાણ લખાયુ હોય તેવુ જણાવાયુ છે. સાથે જ લખ્યુ કે, અમે હિન્દુ મુસ્લિમમાં કોઈ પ્રકારનો ભેદભાવ રાખતા નથી.

(5:23 pm IST)