Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

માળા : ભગવત પ્રસન્નતા - સાધનાનું અનેરૂ સાધન

માળાને ભગવાનના નામ-સ્મરણનો શ્રેષ્ઠ આધાર માનવામાં આવ્યો છે. માળાની પ્રણાલિકા મુખ્યત્વે હિન્દુ ધર્મ ઉપરાંત બહુધા અન્ય કોઈ તમામ ધર્મોમાં જોવા મળે છે. અલબત્ત બધાની પદ્ધતિઓ અલગ અલગ છે. જોકે એ વાત વિદ્વાનોએ સિદ્ધ કરી આપી છે કે હિન્દુ સિવાયના અન્ય ધર્મોમાં માળાની પ્રણાલિકા જોવા મળે છે, તેનું મૂળ હિંદુ ધર્મ જણાય છે. મુંડકોપનિષદ કહે છે: "अरा इव रथनाभौ संहता यत्र नाड्य:" રથનાં પૈડાંની નાભીમાં જેમ આરાઓ સંયુક્ત મળેલા રહે છે, તેમ શરીરની અંતર્વાહિની - નાડીઓ હૃદય સાથે સંયુક્ત છે. હૃદય એટલે પરમાત્માનું નિવાસસ્થાન. પરમાત્માનું સ્મરણ કરીને તેમને હૃદયમાં પ્રગટ કરવા માટે આર્ષદ્રષ્ટા મુનિઓએ માળા ઉપકરણ રૂપે આપી અને સાથે નામ જપનો મહિમા સમજાવ્યો.

 અગ્નિ પુરાણમાં કહ્યું છે: असंख्यातंतु यज्जत्पम् सर्वं तद् अफलम् स्मृतम् । જે કોઈ મંત્ર જપો તેની ગણતરી હોવી જ જોઈએ. ગણ્યા વગરના મંત્રજાપ અફળ જાય છે. તેને રાક્ષસો લઈ જાય છે એમ મનાય છે. નામ જાપ એ ભક્તિ સંપ્રદાયનું આગવું અંગ છે. ભક્તિ પ્રણાલીના ઉદ્ગમકાળે નિરક્ષરતા વ્યાપ્ત હતી. એ સમયે સામાન્ય વર્ગ ભક્તિ તરફ વળ્યો એટલે જપ ગણનાની સમસ્યા ઊભી થઇ. ઋષિ-મુનિઓએ એકત્ર થઇ જપનાં સાધનો શોધી કાઢ્યા. પ્રથમ તો છાણ, લાખ, સિંદૂરનું મિશ્રણ કરી એક યજ્ઞપૂત પાત્ર તૈયાર કરી આપ્યું. તેમાં ધાન્ય ભરી કણ-ગણતરીથી નિયત સંખ્યા બાંધી. જે કોઈ નામજપ આદરે તે પહેલાં ઋષિ આશ્રમેથી આ કણ પાત્ર લઈ આવે. એક એક કરીને મંત્ર જપે. ને એમ જપની ગણતરી અસ્તિત્વમાં આવી. સમય જતાં પરિવ્રજયા કરતાં કરતાં પણ નામ જપ થાય તેવું ઋષિઓએ શોધ્યું. જેમાં "કરમાળા" આંગળીઓના વેઢા દ્વારા ગણતરીની પદ્ધતિ સૌને આપી. તેમાં નિયમો પણ મૂક્યા, જેવા કે આંગળી આંગળી વચ્ચે ખાલી જગ્યા ન હોવી જોઈએ. અમુક મુદ્રા અમુક ઉપાસકો માટે અપનાવવી, નક્કી કરેલા સ્થાને જ જપ કરવો, વગેરે... કણપાત્ર કરતાં કરમાળા ઠીક ઠીક ઉપયોગી થઇ.

 પરંતુ સતત ભ્રમણશીલ યાત્રિકો માટે આ ઉપાય જરૂર જરા કઠિન નીવડ્યો. વેદ ઉપનિષદના મંત્ર દ્રષ્ટાઓને ભીતર પ્રકાશ થતાં, "अरा इव रथनाभौ संहता यत्र नाड्य:" મુજબ, કમળના બીજમાં છિદ્ર પાડી મંજુરેષાતંતુને પરોવી પ્રથમ ૨૫ની અંક ગણના થઇ શકે તેવી માળા રચી. જોડાણમાં એક મેરૂ મણિ રાખ્યો. આરાનું કેન્દ્ર રથનાભિ હોય છે તેમ.

 પછી  ઈન્દ્રાક્ષ, રૂદ્રાક્ષ, સ્ફટિક વગેરેની માળાઓ અસ્તિત્વમાં આવી. તે સગળાનું નવીન સ્વરૂપ - ૧૦૮ મણકાની માળા આજપર્યંત રૂઢ છે. જેના મૂળમાં વારાહ ઉપનિષદની તત્વ ગણતરીનો મુખ્ય આધાર છે. છ વિકાર, છ ઊર્મિ, છ કોષ, છે રિપુ,  દશ ઇન્દ્રિયો, ચાર અંતઃકરણ, પંચવિષય, પંચભૂત, દશ પ્રાણ, ત્રણ અવસ્થા (જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ), ત્રણ દેહ, ત્રણ ગુણ, ત્રણ કર્મ, ત્રણ અવસ્થા(બાળો, યુવાન, વૃદ્ધ), ચાર વિષય અંતકરણના (સંકલ્પ, અધ્યવસાય, અભિમાન,અવધારણા) ચાર  ભાવ, (મુદિતા, કરૂણા, મૈત્રી, ઉપેક્ષા) ૧૪ દેવતા, નવગ્રહ, જન્મ-મૃત્યુ, પુરૂષ અને માયા - કુલ ૧૦૮ તત્ત્વોથી જીવાત્મા તદ્દન ભિન્ન છે. તેનું ભાન  ઈશ્વરપ્રણિધાનમાં તત્પર થયેલો સાધક ક્ષણે ક્ષણે કેળવતો રહે એવી જાગરૂકતા ઋષિઓએ જપ સાથે સાંકળી લીધી. ૧૦૮ તત્ત્વોથી ઉપર રહેલો આત્મા તેનો મેરૂ છે તેનું જાણપણું મૂક્યું. 

આ ઉપરાંત કિવદંતીઓ પણ સાંભળવા મળે છે. કોઈ કહે છે કે રૂદ્રાક્ષના મણકા વાળી માળા કરવામાં આવે તો તેમાં  વૈદકીય ગુણોથી તંદુરસ્ત રહેવાય છે. કોઈ કહે છે કે ખરાબ દૃષ્ટિથી બચવા તે ઉત્તમ રક્ષણ છે, કોઈ વળી ૧૦૮ મણકા સાથે આઠસો મંત્રનું ગણિત જોડે છે ને આઠ વાર ફેરવવાના સતત અનુસંધાન માટે સો ઉપર આઠ મણકા મૂક્યાનું રહસ્ય ગણાવે છે. કોઈ વળી હિન્દુઓ માટે ૧૦૮ નોઅંક મહાન "સન્માન દર્શક સંજ્ઞા" તરીકે ઓળખાવી જપમાળાનું શુદ્ધ આર્યત્વ સ્થાપે છે. કમળ બીજના મણકાથી માંડી પુત્રજીવ, રૂદ્રાક્ષ, તુલસી, રક્તચંદન, ચંદન ને સામાન્ય કાષ્ઠ સુધીની સૌ કોઈ માળા સદગુરૂપ્રાસાદિક હોય તો તે ઉત્તમ જ છે. તે સિવાય સ્ફટિક, વૈદૂર્ય, પ્રવાલ કે સુવર્ણમોતીની હોય તોપણ તે અભદ્ર છે. માળામાં કોઈ મણકે મણકે દોરા ગાંઠ પાડે છે. કોઇ ભાતિગળ ફૂમતાથી મેરૂને શણગારે છે, પરંતુ ભાવ પ્રાધાન્ય મહત્વનું છે. હિન્દુ ધર્મમાં સાધનાના પ્રતીકરૂપ બની ગયેલી માળાએ અન્ય ધર્મોમાં કેવું સ્વરૂપ ધારણ કર્યું છે તે પણ સમજવા જેવું છે. ઇસ્લામમાં માળાને "તસબીહ" કહેવામાં આવે છે. તસબીહમાં ૯૯ મણકા હોય છે. અલ્લાહનું નામ જપતાં તેઓ તસબી ફેરવે છે. તસબીનો મુખ્ય મણકો ઇમામ કહેવાય છે. આ માળા ત્રણ ભાગમાં વહેંચાયેલી હોય છે. મોટે ભાગે ત્રણેય ભાગોના મણકાના રંગ જુદા જુદા હોય છે. તેનો આકાર પણ ભિન્ન હોય છે અને જુદા જુદા દ્રવ્યોમાંથી બનેલા હોય છે. મુસ્લિમોમાં બીજા પ્રકારની માળા પણ જોવા મળે છે. તેમાં ૯૯ ને બદલે ૧૦૧ મણકા હોય છે. તેની સાથે ૧૦૧ પૈગમ્બરોનાં નામ જોડાયેલા છે એવી એક માન્યતા છે. મુસ્લિમોમાં માળાનો પ્રચાર ક્યારથી થયો તે વિશે ઘણી બધી માન્યતાઓ છે. શતાબ્દીના એક પુરાણા મુસ્લિમ ગ્રંથમાં તસવીર નો ઉલ્લેખ જોવા મળે છે પરંતુ વિદ્વાનોનું માનવું છે કે ભારતના બૌદ્ધો પાસેથી તેમણે માળાની પરંપરા મેળવી છે. (એચ. થર્સટન. જર્નલ સોસાયટી આર્ટ્સ ભાગ-1 પૃષ્ઠ 265) મુસ્લિમોમાં કંઈ કેટલીય શાખાઓ છે. પ્રત્યેક શાખા અમારા મણકા વિશેષ પવિત્ર છે, એવો દાવો કરે છે અને અલગ અલગ પદાર્થોથી મણકાની માળા તૈયાર કરે છે. મક્કાની માટીમાંથી બનેલા મણકાઓને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. લાકડા ઉપરાંત પથ્થર, કાચ,મગ, મોતીની માળા પણ જોવા મળે છે. શિયા પંથી કરબલાની માટીના મણકાની માળા બનાવે છે. જ્યારે અરબી સુન્ની પંથીઓ ભારતીય માળાનો ઉપયોગ કરે છે. ક્યારેક તેઓ હુસેનના મૃત્યુની યાદમાં મણકાને લાલરંગી બનાવે છે. હસન - હુસેનને ઝેર આપી મારી નાખવામાં આવ્યા હતા ત્યારે તેમનો રંગ પાછળથી લીલો થઈ ગયો હતો. એટલા માટે ક્યારેક-ક્યારેક મણકાને લીલા પણ બનાવવામાં આવે છે. ફકીરોની માળા મોટેભાગે કાચના વિભિન્ન રંગી મણકાની હોય છે.

ખ્રિસ્તીઓમાં રોમન કેથોલિક સંપ્રદાયમાં ૧૫૦ મણકાની માળાનું પ્રચલન છે. ૧૫ મોટા મણકા વડે તે માળામાં ૧૦ ભાગ પાડ્યા હોય છે. રોમન સાધુઓની માળા ૧૮૦ મણકાની હોય છે. તે માળા ત્રણ મોટા મણકાથી જ ચાર ભાગોમાં વિભાજિત થયેલો હોય છે.

 યહુદીઓમાં માળાનું કોઈ ખાસ ધાર્મિક મહત્વ નથી. તેઓ માળાને શોખના રૂપે પર્વ કે ઉત્સવ પ્રસંગે ધારણ કરે છે. આ માળામાં ૩૨ મણકાની ૯૯ મણકાની માળા - એમ બે પ્રકાર છે.

 જૈનોમાં પણ જપમાળાનો વ્યાપક પ્રચાર જોવા મળે છે. જૈનોની માળામાં ૧૧૧ મણકા હોય છે. તેમાં ૧૦૮ મણકા પર તેઓ णमो अर्हन्ताय એવો જાપ કરે છે. બાકીના ત્રણ મણકા પર सम्यक् दर्शन ज्ञान चारित्रेभ्यो नमः નો  જાપ કરે છે.

 બૌદ્ધોની માળામાં ૧૦૮ મણકા હોય છે. એવું કહેવાય છે કે ગૌતમ બુદ્ધના જન્મ સમયે ૧૦૮ જ્યોતિષીઓને એમનું ભાગ્યફળ જોવા માટે બોલાવાયેલા. અને ૧૦૮ માળાના મણકા એ ઘટનાના પ્રતિકરૂપે છે. બર્મા (બ્રહ્મદેશ) માં બુદ્ધના ચરણારવિંદમાં ૧૦૮ બતાવાયા છે. તિબેટમાં બૌદ્ધોનો ધર્મ લેખ કહગ્પુર પણ ૧૦૮ પંક્તિઓમાં જ લખાયેલો છે. ચીનમાં પીકગમાં આવેલું ઉજ્વળ શ્વેત મંદિર પણ ૧૦૮ રૂપો (પૂજાદંડ) થી ઘેરાયેલું  છે. તથા જાપાનમાં મૃતક  શ્રાદ્ધમાં ૧૦૮ દીવાઓ પ્રગટાવવામાં આવે છે. અને ૧૦૮ રૂપિયા દાનમાં દેવાય છે. અર્થાત્ બૌદ્ધોમાં ૧૦૮ અંકનું મહત્વ ખૂબ લાગે છે. ગૌતમ બુદ્ધના મૃત્યુ પ્રસંગે તેમની ચિતાની ૧૦૮ પ્રદક્ષિણા કરવામાં આવેલી. આ બધી બાબતો સાથે માળાના ૧૦૮ મણકાનું રહસ્ય સંબંધિત છે એમ તેઓ માને છે. બૌદ્ધ ધર્મ બર્મા, લંકા, ચીન, જાપાન, થાઇલેંડ વગેરે દેશોમાં પ્રચલિત છે. દરેક દેશના બૌદ્ધ અનુયાયીની માળામાં થોડી થોડી ભિન્નતા રહેલ છે. ભારતીય બૌદ્ધોની માળા હિન્દુઓની માળા જેવી જ હોય છે. તેઓ બુદ્ધનું નામ જપે છે. તિબેટમાં માળાને "થેન્ગવા" અથવા "થેગનવા" કહે છે. લામાએ આ માળાને પહેરવી જોઈએ એવો ત્યાંનો રિવાજ છે. જાપાની બૌદ્ધોની માળા ૧૧૨ મણકાની હોય છે. તેમાં બે સુમેરૂ ૫૬ મણકા પછી આવે છે. જાપાનમાં પહેલા પિપ્પલકાષ્ઠની માળા બનતી હતી. કારણકે પિપ્પલ કહેતાં પિપળાના વૃક્ષ (બોધીવૃક્ષ) હેઠળ જ ગૌતમ બુદ્ધને જ્ઞાન થયું હતું. પિપ્પલ કાષ્ઠની દુર્લભતાને લીધે હવે બેર અને રૂદ્રાક્ષના મણકાની માળા વિશેષ જોવા મળે છે. કનો, કીતિ અને ગોમા મહોત્સવના અવસરે તેઓ માળાનું ખૂબ માહાત્મ્ય સમજે છે.

 હવે પ્રશ્ન એ થાય કે વચલી આંગળીથી માળા શા માટે કરવામાં આવે છે?

 જાપમાં માળા ફેરવતી વખતે તર્જની આંગળીનો ઉપયોગ નથી કરાતો, કારણ કે,

 हृदि तिष्ठदशान्गुलम् (યજુર્વેદ ३१)

 ભગવાનનું મુખ્ય નિવાસસ્થાન હૃદય પ્રદેશમાં છે. આ પ્રમાણો અનુસાર હૃદયને પ્રભાવિત કરવાને માટે જાપ થાય છે જે વચલી આંગળીની (મધ્ય અંગુલી) ધમનીનો હૃદય પ્રદેશ સાથે સીધો સંબંધ છે. એટલે જાપમાં એનો ઉપયોગ થાય છે. ૧૦૮મણકા જ કેમ?

 "બ્રહ્માંડ - પિંડ" સિદ્ધાંત અનુસાર પ્રકૃતિના નિયંત્રણથી બ્રહ્માંડની ચારે દિશામાં ફરતી રહેતી નક્ષત્ર માળાને જોઇને, ભારતીય ઋષિઓએ પણ નક્ષત્રોની સંખ્યા ૨૭ અને દિશાઓની ચારની સંખ્યાથી ગણીને ૧૦૮ સંખ્યાના મણકાવાળી માળાનું નિર્માણ કર્યું.હિન્દુ જાતિ પ્રારંભથી જ સૂર્યભક્ત છે. સૂર્યના બાર સ્વરૂપો હોય છે. એનું બારમું સ્વરૂપ વિષ્ણુ છે. બ્રહ્મનો અંક ૯ છે. ૧૨ અંકવાળા વિષ્ણુરૂપ સૂર્યની સાથે ૯ અંકવાળા બ્રહ્મને ગુણવાથી ૧૦૮ સંખ્યા થાય છે. એક માળાના જાપમાં સૂર્યાત્મક વિષ્ણુનો જ ૧૦૮ વાર થાય  એવી ગણતરી કરવામાં આવી. ૧૦૮ નો યોગ ૧+૮= ૯  થાય છે, ૯અંક બ્રહ્મનું પ્રતીક છે. એટલે બ્રહ્મવિદ્ સંન્યાસીઓના નામની સાથે ન્યાયથી આદર રૂપે શ્રી ૧૦૮ લખાય છે.  નક્ષત્ર માળાના આધાર ઉપર આ માળા બની છે માળાના બંને છેડા મેળવીને જ્યાં એક કરવામાં આવે છે.ભેગા કરવામાં આવે છે એ સ્થાન સર્વોચ્ચ મણકાને "સુમેરૂ" કહેવામાં આવે છે. જેમકે બ્રહ્માંડની નક્ષત્ર માળાના પણ બંને છેડા જ્યાં ભેગા થાય છે એ સ્થાનને પણ સુમેરૂ પર્વત ના નામથી જ પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે. એટલે જપમાળા ને નક્ષત્ર માળા,  એ બંનેના સંયોજન સ્થાનને સુમેરૂ કહેવામાં, બંનેની એકતાનું પણ અનુમાન કરી શકાય છે.પ્રત્યેક પળમાં આપણા ૬ શ્વાસ નીકળે છે. અઢી પળની એક મિનિટમાં આપણા ૧૫ શ્વાસ નીકળે છે. આ હિસાબથી એક કલાકમાં ૯૦૦ તથા દિવસના ૧૨ કલાકમાં ૧૦૮૦૦ શ્વાસ આપણા નીકળે છે.  શ્વાસોશ્વાસે નામજપ ની લગની લગાડવા એક દિવસના આટલા શ્વાસોમાં આપણે આપણા ઇષ્ટદેવને સંભારવા જોઈએ. શાસ્ત્ર કહે છે કે આપણા જીવનના આ શ્વાસ વ્યર્થ ન જવા જોઈએ. પરંતુ શ્વાસોશ્વાસે ના થઈ શકે એટલે શાસ્ત્રકારોએ તેના એકસોમાં ભાગ જેટલી માળા આપીને કહ્યું કે શાસ્ત્રવિધિ અનુસાર દરરોજ એક માળા - ૧૦૮ જાપ કરીએ તો બધા શ્વાસ સાર્થક બને. કારણ કે વિધિ પ્રમાણે કરેલો જાપ उपान्शु स्यात् शतगुण: (મનુસ્મૃતિ ૨/૮૬) સૂત્ર અનુસાર સો ગણો થઈ જાય છે. ટૂંકમાં ઉપાન્શુ જાપને કારણે ૧૦૮ જાપ સો ગણા થઈ જતાં ૧૦૮૦૦ જાપ થાય છે. એટલે ઓછામાં ઓછી એક માળા વિધિવત થવી જોઈએ. અધિક કરવામાં બાધ નથી. માળા માત્ર સાધન છે. નામ જપમાં માળા કરતાં મહત્ત્વનું અંગ મન છે. મન જો નામ જપમાં ન જોડાય તો માળાનો મતલબ રહેતો નથી. ભક્ત કવિઓએ આથી જ ગાયું  છે કે,

माला तो करते फिरें

मुखमे फिरें जिभात,

मनवा तो चहुं दिस फिरें

वो तो सुमिरन नाहि।

 એટલે તો ભજનમાં ગાયું છે કે....

 તારી એક એક પળ જાય લાખની; તું તો માળા રે જપી લે ઘનશ્યામની....

સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપશ્રી, યોગીન્દ્રવર્ય સદ્દગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા,  અજોડ મૂર્તિ સદ્દગુરૂ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા, નીડર સિદ્ધાંતવાદી સદ્દગુરૂ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ શુભ માં શુભ નામ જેમનું છે એવા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના નામની માળા અહોનિશ કરવા માટે હંમેશને માટે પોતાના  આશ્રિતોને શીખવે છે.

(2:53 pm IST)