Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

પોલીસનું હળવું વલણ : હાર્દિકને મળવા પાટીદારોની ભારે પડાપડી

મક્કમ હાર્દિક પટેલના ઉપવાસના નવમા દિવસે જારી રહ્યા : બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંઝીએ પણ હાર્દિકની મુલાકાત લીધી સરકાર પાપ કરી રહી છે, તે ભોગવવુ જ પડશે : માંઝીએ આપેલી પ્રતિક્રિયા

અમદાવાદ, તા.૨ :  શ્રાવણમાં તહેવારો ચાલી રહ્યા છે અને ભક્તિમય માહોલ ચાલી રહ્યા છે તેવા સમયે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે નવમો દિવસ છે ત્યારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી આજે હાર્દિકને મળવા પહોંચ્યા હતા. હાર્દિકને મળીને જીતનરામ માંઝીએ જણાવ્યું હતું કે, કોઈપણ સરકાર વિરૂધ્ધ યુવાને અનશન કરવા પડે તે શરમજનક બાબત છે. હાર્દિકના ઉપવાસના સમર્થનમાં એકબાદ એક કોંગ્રેસી નેતા આવી રહ્યા છે ત્યારે આજે તેને મળવા માટે ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા એવા પરેશ ધાનાણી, પ્રવકતા ડો.હિમાંશુ પટેલ, એનસીપી નેતા જયંતિ બોસ્કી સહિતના આગેવાનો પણ પહોંચ્યા હતા અને મુલાકાત કરી હતી. દરમ્યાન આજે બપોર બાદ પોલીસ હાર્દિકને મળવા આવનાર મુલાકાતીઓ પરત્વે કૂણી પડી હતી અને દરેકને રજિસ્ટરમાં એન્ટ્રી કરી મુલાકાતીઓને હાર્દિકને મળવાની મંજૂરી આપતી હતી, જેને લઇ પાટીદાર સમાજ સહિતના લોકોમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી અને એક તબક્કે હાર્દિકને મળવા માટે મુલાકાતીઓની ગ્રીનવુડ ખાતેથી બેથી ત્રણ કિલોમીટર લાંબી લાઇનો લાગી ગઇ હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે આજે હાર્દિકની તબિયત ઉપવાસના નવમા દિવસે વધુ લથડી હતી અને તેને ૪૨ કલાકમાં હોસ્પિટલમાં દાખલ કરવો પડે તેવી સ્થિતિની ડોકટરોએ ચીમકી ઉચ્ચારી હતી. જો કે, હાર્દિકે દાખલ થવાનો ધરાર ઇનકાર કર્યો હતો. હાર્દિકને મળ્યા બાદ બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ જણાવ્યું હતું કે, કોઈપણ સરકાર વિરૂધ્ધ યુવાને અનશન કરવા પડે તે શરમજનક વાત છે. હું સમજુ છું કે આ સમાજ મૂળ નિવાસી લોકો છે, જે સમાજના વિકાસ માટે કરી રહ્યા છે. જન સંખ્યા આધારે આરક્ષણ છે શૈક્ષણિક રીતે બેકવર્ડ લોકો માટે છે તો ૪૯ ટકા મુજબ આપી શકાય તે લિમિટ યોગ્ય નથી. અન્ય રાજ્યમાં ૭૦ ટકા આરક્ષણ છે. આર્શીવાદ આપું છું કે હાર્દિકે દેશમાં આરક્ષણ માટે એક રસ્તો બતાવ્યો છે. દેશમાં ૫૫ લાખ ખેડૂતો આત્મહત્યા કરે છે. સરકાર પાપ કરી રહી છે તે ભોગવવું પડશે. આ બેદર્દોની સરકાર છે. અગાઉ સામાજિક,ઇકોનોમિક થયેલો સર્વે જમા કરાવ્યો છે તે જાહેર કરે. હાર્દિક પટેલને અમારું સમર્થન છે. દરમ્યાન હાર્દિકનાં હેલ્થ બુલેટિનમાં તેની સ્થિતિ ખૂબ નાજૂક હોવાનું બહાર આવ્યું છે. તેની કિડનીમાં ઈન્ફેક્શન વધી રહ્યું છે અને પેશાબમાં રસીનું પ્રમાણ જોવા મળ્યું છે. એસીટોનની માત્રા દિવસેને દિવસે વધી રહી છે. ઈલેક્ટ્રોલાઈટ ઈમબેલેન્સ જોવા મળે છે.  હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે નવમો દિવસ છે. આજે સવારે સોલા સિવિલ હોસ્પિટલના ડો. પ્રવિણ સોલંકી(એમડી મેડિસીન) હાર્દિક પટેલના મેડિકલ ચેકઅપ માટે પહોંચ્યા હતા. હાર્દિકે ઉબકા આવવા અને ચક્કર ચડવાની ફરિયાદ કરી હતી. જો કે, હાર્દિકે હાલ પૂરતા બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ કરવાની ના પાડી સાંજે કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બે દિવસના જળત્યાગ બાદ હાર્દિકે ગઈકાલે એસપી સ્વામીના હાથે જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. હાર્દિકના વજનમાં વધુ ૬૦૦ ગ્રામનો ઘટાડો નોંધાયો છે. એ વચ્ચે ડોક્ટરોએ તેને હોસ્પિટલમાં દાખલ થવાની ફરી સલાહ આપી હતી. પરંતુ હાર્દિક હોસ્પિટલમાં દાખલ નહી થવા પર મક્કમ રહ્યો હતો. દરમ્યાન આજે હાર્દિકના આમરણાંત ઉપવાસના નવમા દિવસે હાર્દિકની લથડેલી તબિયતને લઇ શહેર સહિત રાજયભરના પાટીદાર સમાજમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી અને રાજયના ખૂણે ખૂણેથી લોકો હાર્દિકને મળવા માટે નીકળ્યા હતા તો, જો કે, કેટલાક સ્થળોએ પોલીસે રસ્તામાં જ તેઓને આંતરી લીધા હતા અને અટકાયત કરી લીધી હતી, જેને લઇ પાટીદારોમાં પોલીસ પરત્વે ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. હાર્દિકના ગ્રીનવુડ ખાતેના નિવાસસ્થાનની બહાર પણ બીજીબાજુ લોકોની લાંબી લાઇનો લાગવા માંડી હતી. આખરે બપોર બાદ પોલીસે રજિસ્ટરમાં એન્ટ્રી કરાવી બબ્બે-ત્રણ-ત્રણની લાઇનમાં હાર્દિકને મળવા માટે મુલાકાતીઓને અંદર જવા દીધા હતા.  હાર્દિકને મળવાની મંજૂરી અપાતાં પાટીદાર સમાજ સહિતના મુલાકાતીઓમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી અને આ સમાચાર વાયુવેગે પ્રસરતાં જ લોકોની લાંબી લાઇનો અને મુલાકાતીઓની ભીડ ગ્રીનવુડ બંગલોની બહાર લાગી હતી. હાર્દિકને મળવા માટે લોકો કલાકો સુધી લાંબી લાઇનોમાં ઉભા રહ્યા હતા.

(9:19 pm IST)