Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

ગાંધીનગરનો આજે જન્મદિનઃ વેબસાઇટમાં લોચોઃ ગાંધીનગરની ઓળખ મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે આપી

ગાંધીનગર :રાજ્યનું પાટનગર ગાંધીનગર આજે 55 વર્ષનું થયું. એક સમયે જ્યાં વસવાટ માટે લોકોને વિનવવા પડતાં સ્થળ આજે રાજ્યના સૌથી વધુ ખૂબસૂરત અને એટલાં મોંઘા શહેર તરીકે જાણીતું છે. જોકે સ્માર્ટ સિટી બનવા તરફ ગતિ કરતાં શહેર વિશે સરકારી વેબસાઈટ પોતે છબરડા વાળતી દેખાય છે. વેબસાઈટમાં ગાંધીનગરની ઓળખ મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે દર્શાવવામાં આવી છે.

સરકારી વેબસાઈટ પર ભૂલ

અમદાવાદથી ઉત્તર પૂર્વ તરફ 32 કિલોમીટર દૂર આવેલ ગાંધીનગરની સ્થાપના 2 ઓગસ્ટ, 1965ના રોજ કરાઈ હતી. આજે ગાંધીનગર 55 વર્ષનું થયું. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નામ પરથી શહેરનું નામ પાડવામાં આવ્યું હતું. તમામ માહિતી સરકારની ગાંધીનગર જિલ્લાની વેબસાઈટ https://gandhinagar.nic.in પર મળી રહે છે. વેબસાઈટ પર ગાંધીનગર જિલ્લાનો ઈતિહાસ સેક્શનમાં ક્લિક કરવાથી ગાંધીનગરના સ્થાપના વિશેની માહિતી મળી રહે છે. વેબસાઈટ પર ઉલ્લેખ કરાયો છે કે, ‘ગાંધીનગરનો ઇતિહાસ જણાવે છે કે, શહેર 1960ની આસપાસ સ્થપાયું હતું. જ્યારે મુંબઈ રાજ્યને ગુજરાત અને મહારાષ્ટ્રના બે અલગ રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યું ત્યારે

શહેરને તેની પોતાની ઓળખ મળી. ત્યારથી મુંબઇ મહારાષ્ટ્રનો ભાગ બન્યો અને ગાંધીનગર એક રાજ્ય તરીકે ગુજરાતનો એક ભાગ બન્યો. નવી રાજધાની શહેરની સ્થિતિને કારણે ગાંધીનગર ગુજરાત રાજ્ય માટે નવી રાજધાની તરીકે ઉભરી આવ્યું છે.’

ગાંધીજીના જન્મસ્થળને લઈને લખી ખોટી માહિતી

પરંતુ ત્યાર બાદ જે માહિતી લખાઈ છે તે ચોંકાવનારી છે. વેબસાઈટ પર ગાંધીનગરને મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ તરીકે બતાવાયું છે. જે એક મોટી ભૂલ છે. ભારતમાં વસતો નાનકડો બાળક પણ જાણે છે કે, મહાત્મા ગાંધીનું જન્મસ્થળ પોરબંદર છે. ત્યારે સરકારની વેબસાઈટ સાવ ભૂલભરેલી અને ઈતિહાસની ખોટી માહિતી આપે છે. વેબસાઈટ પર લખ્યું છે કે, ગાંધીનગરનો ઇતિહાસ દેશની સ્વતંત્રતા માટેના સંઘર્ષ દરમિયાન એક મહત્વપૂર્ણ શહેર હોવાનું માનવામાં આવે છે. મહાત્મા ગાંધી સ્થળના હતા અને ગાંધીનગરની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ મુદ્દો સાબિત કરે છે કે રાષ્ટ્રની સ્વતંત્રતા મેળવવાની ઘણી રાષ્ટ્રીય યોજનાની હલચલ ગાંધીનગરથી શરૂ થઈ હતી. ભારતમાં ગુજરાતમાં ગાંધીનગરનો ઇતિહાસ પણ જણાવે છે કે, દેશ અને રાજ્યની રાજકીય યોજનાઓ ગાંધીનગર શહેરને ભારતીય સાહસ બનાવવાનું હતું. આવા વિચાર પાછળનું કારણ શહેરને મહાત્મા ગાંધીના જન્મ સ્થળ તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ જાણીતી ઓળખ આપવાનું હતું.’ આમ, સરકારી વેબસાઈટ લોકોને ગેરમાર્ગે દોરે તેવી છે.

સ્થાપના બાદ 1 મેના રોજ પહેલી વસાહત વસાવાઈ હતી

ગાંધીનગરની સ્થાપના બાદ 1 મે, 1970ના રોજ પાટનગરમાં પ્રથમ વસાહત શરૂ કરાઈ હતી. પહેલા દિવસે 12 હજાર લોકોને પાટનગરમાં સરકારી આવાસ ફાળવાયા હતા. જેમાં 95 ટકા સરકારી કર્મચારીઓ હતા. અહી વસવાટ વસાવવા માટે ખાસ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. અહી લોકોને તમામ સુવિધા મળી રહે તે માટે દવાખાનુ, પ્રાથમિક શાળા, પોલીસ મથક પણ ઉભુ કરાયું હતું. સેક્ટર દીઠ શોપિંગ સેન્ટર બનાવાયા હતા. તેઓ કયા પ્રકારનો વ્યવસાય કરશે તે પણ સરકારે પ્લાનિંગ કરીને નક્કી કર્યું હતું. સમયે ગાંધીનગરમાં શાળા તો હતી, પણ કોલેજ હતી. તેથી અહીં વસેલા વિદ્યાર્થીઓને કોલેજ માટે જવા-આવવાનો તમામ ખર્ચ સરકાર ભોગવતી. સરકારી કર્મચારીઓના પગારમાં

તેમના સંતાનોના બસનો ખર્ચ ઉમેરીને આપવામાં આવતો. પાટનગરમાં 1973માં રેલવે સ્ટેશન બનાવ્યા બાદ એક ટ્રેન આવતી.

ગાંધીનગરના 55માં સ્થાપના દિવસની ઉજવણી ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા આજે કરવામાં આવી હતી. વસાહત મહામંડળના પ્રમુખ અરુણ બુચે ગાંધીનગર ફરી પાછું ગ્રીન સિટીનું બિરુદ મેળવે તે પ્રકારની નેમ વ્યક્ત કરી હતી. ગાંધીનગરની પ્રથમ ઈંટ જ્યાં મૂકાઈ હતી, તે જીઇબી કોલોનીમાં ઉજવણી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને ગાંધીનગરને તેના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી છે.

(6:28 pm IST)