Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

વડોદરામાં વરસાદે વિરામ લીધો અને ઘરે સામાન જોવા ગયા ને પાણીમાં ગરક થઇ જતા મોત

વડોદરા :વરસાદ ભલે બંધ થઈ ગયો હોય, પણ હજી પણ વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભલે ઘટી હોય, પણ રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા નથી. ત્યારે આવામાં વધુ એક વ્યક્તિના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. સલટવાડાના રહીશનું વરસાદી પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સલાટવાડા વિસ્તારમાં આવેલ તુલસીભાઈની ચાલીમાં અશોક કાલિદાસ રાવલ પોતાના પરિવાર સાથે રહેતા હતા. વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થવાથી પૂરના પાણી સલાટવાડા વિસ્તારમાં ફરી વળ્યા હતા. જેને પગલે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. આવામાં તુલસીભાઈની ચાલીમાં પાણી ભરાઈ ગયા હતા. અશોકભાઈનું ઘર પણ પાણીમાં ગરક થઈ ગયું હતું. પરંતુ ગઈકાલે વરસાદે વિરામ લીધો હતો, જેથી અશોકભાઈ આજે પાણીમાં પલળી ગયેલ ઘરનો સામાન જોવા તેમના ઘરમાં ગયા હતો. સામાન જોવા ગયેલા અશોકભાઈનું પગ લપસ્યો હતો, અને તેઓ ઊંડા પાણીમાં ગરક થયા હતાં. જેને પગલે તેમનું મોત નિપજ્યું હતું.

અશોકભાઈના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. એક તરફ, ઘર પાણીમાં ગરક છે, તો બીજી તરફ ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પોલીસે સલાટવાડા ખાતે પહોંચી અશોકભાઈના મૃતદેહને પી.એમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે. આમ, વડોદરામાં વરસાદી પાણી ઓસર્યા બાદ મૃતદેહ મળવાનો સિલસિલો ચાલુ થયો છે.

ઉલ્લેખનીય છે કે, જેમ જેમ પૂરના પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ લોકો તેમના ઘર તરફ વળી રહ્યા છે. ઘરમાં ભલે પાણી હોય, પણ ત્રણ દિવસથી પૂરને કારણે ઘરની પરિસ્થિતિ કેવી છે તે જોવા અનેક લોકો પોતાના ઘર તરફ જઈ રહ્યાં છે.

ફતેપુરામાં યુવક કાંસમાં તણાયો

ભારે વરસાદને પગલે ફતેપુરા કોયલી ફળિયાનો યુવક કાંસમાં તણાયા હોવાની ઘટના બની છે. ત્રણ દિવસથી લાપતા બનેલ યુવકની શોધ ખોળ ફાયર વિભાગે હાથ ધરી છે. વરસાદે વિરામ લેતાં ફાયર વિભાગે યુવકના શોધખોળની કામગીરી આરંભી છે. કોયલી ફળિયાનો યુવક વરસાદી કાંસમાં ગરકાવ થયો હતો. કાંસ પર આવેલ પાણીના નિકાલની જાળી પર કચરો સાફ કરતી વખતે ઘટના બની હતી. ત્યારે ફાયર વિભાગની સાથે સાથે પોલીસ વિભાગ પણ તેની શોધખોળની કામગીરીમાં જોડાયું હતું. સ્થાનિક રહીશો પણ ફાયર વિભાગની કામગીરી સાથે જોડાયા છે.

(6:25 pm IST)