Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

''વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભઃ નિવિઘ્નં કુરૂ મૈ દેવ સર્વકાર્યેષુ સર્વદા''

દેશભરમાં આજે ગણેશ ચતુર્થી મનાવવામાં આવી રહી છે. તેની સાથે જ ગણેશ મહોત્સવની શરૂઆત થઇ ગઇ છે. દર વર્ષની જેમ બોલીવુડ સેલેબ્સથી માંડી આમ આદમી ગણપતિ બાપાનું સ્થાપન કરી રહયા છે. ઘરમાં ૧૦ દિવસ સુધી મહેમાન રહયા બાદ મુર્તિનું વિસર્જન કરી દેવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી છે. માયાનગરી મુંબઇમાં ગણેશ ઉત્સવને લઇ ધુમ જોવા મળી રહી છે. મુંબઇમાં ગણેશ ઉત્સવને લઇ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મુખ્ય પંડાલોમાં પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. આજે ઠેર-ઠેર મંગલમુર્તિના મોંંઘેરા સ્થાપન થઇ રહયાં છે. ધનવર્ષાની શુભકામના સાથે ''શ્રીપતયે નમઃ''ના મંત્રોચ્ચાર સાથે ઘર-ઘરમાં વિધ્નહર્તા દેવનું સ્થાપન થઇ રહયું છે. સાથોસાથ ચોકે ચોકે, જાહેર મેદાનોમાં 'ગણેશોત્સવ ' નો પણ પ્રારંભ થઇ રહયો છે આજે ઠેર-ઠેર ''એક ,દો,તીન,ચાર... ગણપતિનો જયજયકાર'' ના નારા સાથે અને અબીલ ગુલાલની છોળો વચ્ચે અવનવી મુર્તિઓને સ્થાપના સ્થળે લઇ જવામાં આવી રહી છે. ૧૦ દિ' માટે મંગલમુર્તિને મનથી આવકાર સાથે ''ગણપતિ બાપ્પા મોરિયા...''નો નાદ ગુંજી ઉઠશે.

(11:11 am IST)