Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

અમદાવાદ એલ.ડી. એન્જીનિયરીંગ કોલેજની હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થીનો ગળે ફાંસો ખાઈને આપઘાત:ચકચાર

સુરતમાં સગીરને પ્રેમ પ્રકરણ બાબતે એક સગીરા સાથે બોલાચાલી થતા માઠું લાગતાં આપઘાત કર્યો હોવાની ચર્ચા

અમદાવાદ : એલડી એન્જીનિયરીંગ કોલેજના હોસ્ટેલમાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. આજથી ફાઇનલ પરીક્ષા શરૂ થઈ હતી છતાં વિદ્યાર્થી પરીક્ષા આપવા ન ગયો અને પ્રેમ પ્રકરણમાં આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા મૃતકે મોબાઈલ પણ ફોર્મેટ કરી દીધો હતો. મૃતક પાસેથી કોઈ સુસાઇડ નોટ પણ મળી આવી નથી. સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

  એલડી એન્જીનયરીંગની હોસ્ટેલના B બ્લોકમાં ત્રીજા માળે 238 નંબરના રૂમમાં રહેતા દિવ્યેશ ઘોઘારી નામના સગીર વયના વિદ્યાર્થીએ બપોરના સમયે કપડાં સુકાવવાની દોરી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃતક સગીરનો રૂમમેટ આવ્યો ત્યારે દરવાજો બંધ હોવાથી બારી ખોલીને જોતા મૃતક સગીરનો મૃતદેહ દેખાઈ રહ્યો હતો, જેથી સિક્યુરિટી ગાર્ડને જાણ કરી અને સિક્યુરિટી ગાર્ડે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ગુજરાત યુનિવર્સીટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સગીરના મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે.

  મૃતક સગીર ટેક્સટાઇલ એન્જીનયરીંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો પરંતુ આજથી GTU ની પરીક્ષા હોવા છતાં મૃતક પરીક્ષા આપવા ગયો ન હતો અને આપઘાત કર્યો હતો. આપઘાત પહેલા મૃતકે પોતાનો મોબાઈલ પણ ફોર્મેટ કર્યો હતો. સગીરે પરીક્ષાનું ફોર્મ પણ ભર્યું નહોતું.

   સગીર મૂળ સુરતનો રહેવાસી છે. જેથી સોમવારે જ સુરતથી આવ્યો હતો. સુરતમાં સગીરને પ્રેમ પ્રકરણ બાબતે એક સગીરા સાથે બોલાચાલી થઈ હતી જે બાબતે લાગી આવતા આજે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે રૂમ પાર્ટનરનું નિવેદન લઈ વધુ તપાસ શરૂ કરી છે.  મૃતકના પરિવારને પણ આપઘાત અંગે પૂછવામાં આવશે. હાલ તો સગીરની આત્મહત્યાની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનુ સામે આવ્યુ છે.

   
(8:12 pm IST)