Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સ્‍ટાર પ્‍લસની ‘અનુપમા' સિરીયલમાં અનુપમાની માતાની ભૂમિકા ભજવતા અભિનેત્રી માધવી ગોગટેનું કોરોનાના કારણે મોત

‘તુજા મઝા ઝામતે’ મરાઠી ટીવી શો સાથે ટીવી ક્ષેત્રમાં ઝંપલાવ્યુ હતુ

નવી દિલ્હી: ટીવીનો શો અનુપમા હાલ ટીઆરપીમાં ખુબ ધમાલ મચાવી રહ્યો છે. શોના દરેક પાત્રએ દર્શકોના હ્રદયમાં ખાસ જગ્યા બનાવી છે. પરંતુ હાલ આ શોના દર્શકો માટે એક ખરાબ સમાચાર છે.

21 નવેમ્બરે થયું નિધન

અનુપમા સિરિયલમાં અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીની માતાની ભૂમિકા ભજવતી અભિનેત્રી માધવી ગોગટેનું નિધન થઈ ગયું છે. રિપોર્ટ્સ મુજબ અભિનેત્રીને કોરોના થયો હતો. 21 નવેમ્બરે મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. આ દુખની ઘડીમાં રૂપાલી ગાંગુલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેસેજ પોસ્ટ કરીને અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપી. માધવીની ઉંમર 58 વર્ષ હતી. તેમની મિત્ર નીલુ કોહલીએ પણ માધવી માટે ઈમોશનલ મેસેજ શેર કર્યો છે.

કોરોનાથી થયું મોત

રિપોર્ટ્સ મુજબ કોરોના બાદ માધવીની હાલત ગંભીર હતી. રૂપાલી ગાંગુલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે ઘણું બધું વણકહ્યું રહી ગયું. સદગતિ માધવીજી. માધવીએ અનુપમા સિરિયલમાં પહેલા અનુપમાની માતાની ભૂમિકા ભજવી હતી. બાદમાં તબિયત ખરાબ થવાના કારણે તેમની જગ્યાએ સવિતા પ્રભુણેએ તેમની જગ્યા લીધી.

મિત્રએ આપી શ્રદ્ધાંજલિ

માધવીની મિત્ર નીલુ કોહલીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેમણે લખ્યું છે કે માધવી ગોગટે મારી વ્હાલી મિત્ર નથી રહી. મને વિશ્વાસ નથી થતો કે તું અમને છોડીને જતી રહી...હ્રદયભગ્ન થઈ ગયું. તારી હાલ જવાની ઉંમર નહતી. Damn Covid. કાશ જ્યારે તે મારા મેસેજનો જવાબ ન આપ્યો ત્યારે મે ફોન ઉઠાવીને તારી સાથે વાત કરી લીધી હોત. હવે બસ હું ખાલી પસ્તાઈ શકું છું.

માધવીની સિરિયલો

માધવી ગોગટેએ હાલમાં જ સિરિયલ તુજા મઝા ઝામતે સાથે મરાઠી ટીવી શોમાં ડેબ્યુ કર્યું હતું. માધવીએ એક્તા કપૂરની સિરિયલ કહીં તો હોગામાં સૂજલની માતાના પાત્રથી લોકપ્રિયતા મેળવી હતી. કોઈ અપના સા, કહીં તો હોગા, એસા કભી સોચા ન થા, જેવી સિરિયલો તે કરી ચૂકી છે.

(5:23 pm IST)