Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

રાજકારણમાં જોડાવા સમય આપો, નિર્ણય બાદ પાર્ટી નક્કી કરીશ : નરેશ પટેલ

ખોડલધામમાં પાસ અને નરેશભાઇ પટેલ વચ્‍ચે બેઠક યોજાઇ : ઉત્તર ગુજરાતના પાસ કન્‍વીનર ગીતા પટેલ સહિત ૩૦૦ લોકો જોડાયા : નરેશભાઇ પટેલ કોંગ્રેસમાં જોડાય એવી અમારી ઇચ્‍છા : પાસ કન્‍વીનર ગીતા પટેલ

(કિશન મોરબીયા દ્વારા) વિપુલર (જલારામ) તા. ૨૧ : ખોડલધામમાં આજે પાસ અને નરેશ પટેલ વચ્‍ચે બેઠક યોજાઈ હતી. જેમાં પાસ કન્‍વીનર ગીતા પટેલ સહિત ઉત્તર ગુજરાતના ૩૦૦ લોકો બેઠકમાં જોડાયા હતા. ગીતા પટેલે જણાવ્‍યું હતું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ તેવી અમારી ઈચ્‍છા છે. પરંતુ નરેશ પટેલે પોતાના નિવેદનમાં જણાવ્‍યું હતું કે, રાજકારણમાં જોડાવા માટે મને સમય આપો. રાજકારણમાં જોડાવાના નિર્ણય બાદ જ હું પાર્ટી નક્કી કરીશ.ᅠ
ખોડલધામ પવિત્ર પરિસર, રાજકારણની વાત કરતા નથી
નરેશ પટેલે વધુમાં જણાવ્‍યું હતું કે, બહેનો અને યુવાન મિત્રોની ખૂબ લાગણી છે કે, હું રાજકારણમાં આવું. દરેક સમાજની લાગણી મારે જોવાની હોય છે. રાજકારણમાં જોડાવા હજુ થોડો સમય આપો, રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે હું મીડિયાના માધ્‍યમથી જાણ કરીશ. રાજકારણમાં જોડાવાના નિર્ણય બાદ પાર્ટી નક્કી કરીશ. ખોડલધામ પવિત્ર પરિસર છે, આ પરિસરમાં ક્‍યારેય રાજકારણની વાત કરતા નથી. ખોડલધામ રાજકારણનું માધ્‍યમ નથી, ફક્‍ત સંગઠનની વાત અને સમાજના પ્રશ્નોની ચર્ચા કરીશું.ᅠ
સરકારે પાટીદાર સમાજ પર અત્‍યાચાર ગુજાર્યો
ગીતા પટેલે વધુમાં જણાવ્‍યું હતું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ તેવી અમારી ઈચ્‍છા છે, કારણ કે પાટીદાર આંદોલન વખતે સરકારે પાટીદાર સમાજ પર અત્‍યાચાર ગુજાર્યો હતો. તેમાં નરેશ પટેલ ન જોડાઈ તેવી ઈચ્‍છા છે. નરેશ પટેલ ગમે તે પક્ષમાં જાય મારી એમની સાથે શુભેચ્‍છા જોડાયેલી છે. સમાજની લડાઈ જયારે લડવી હોય તો સામા પક્ષે જ રહીને લડવી પડે. સરકારે પાટીદારો પર કેસ પાછા ખેંચવાની વાત કરી છે પણ હજુ સુધી કેસ પાછા ખેંચાયા નથી. આ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
લેઉવા-કડવાના વાડામાં સમાજ વહેંચાયેલો હતો
બેઠક પૂર્ણ થયા બાદ ગીતા પટેલે જણાવ્‍યું હતું કે, ઉત્તર ગુજરાતથી પાટીદારો આવ્‍યા હતા અને બેઠકમાં ખૂબ સરસ વાત થઈ. આવનારા દિવસોમાં યુવા પેઢી પણ અમારામાંથી કંઇક શીખે, સમાજનો સેવાનો પ્રવાહ અવિરત ચાલ્‍યા કરે, અત્‍યારસુધી લેઉવા-કડવાના વાડામાં સમાજ વહેંચાયેલો હતો. ખરેખર સાચા અર્થમાં સમાજ હવે એક થયો છે. શિક્ષણ ક્ષેત્રે, ધંધા ક્ષેત્રે સમાજ આગળ વધે તેવી બેઠકમાં ચર્ચા થઈ હતી. ‘ચોર ખાય, મોર ખાય પછી ઢોર ખાય, વધે તે પાટીદાર ખાય' આવી કહેવત અમારામાં હતી. નરેશ પટેલે અમને શીખ આપી છે, પાટીદાર સમાજ એક થયો, સુખી થયો. ટૂંક સમયમાં પાટીદાર આંદોલનમાં થયેલા પાટીદારો પરના કેસ પાછા નહીં ખેંચાય તો આગામી સમયમાં બધા ભેગા મળીને નિર્ણય લઇશું.ᅠ
બેઠક બાદ મહેસાણા કોંગ્રેસના ઉપપ્રમુખ ભરત પટેલે જણાવ્‍યું હતું કે, નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા માટેનું આમંત્રણ આપ્‍યું છે. ઉત્તર ગુજરાતના તમામ પાટીદાર આગેવાનો દ્વારા કોઇપણ સંજોગોમાં એક થવા માટે કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપવા માટે આવ્‍યા હતા. અમારા મત મુજબ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ એવી અપેક્ષા રાખી છે. સરદાર વલ્લભભાઈ પટેલ પછી નરેશ પટેલ પાટીદાર નેતૃત્‍વ માટે એક વીર ભામાશા મળ્‍યા છે. પાટીદાર સમાજ બે ફાટામાં વહેંચાયો સમાજ હતો. નરેશ પટેલના પ્રયાસથી ઉમા-ખોડલના નામથી બંને સમાજ એક નેજા હેઠળ આવ્‍યો છે.

 

(11:15 am IST)