અકિલા સાંધ્ય દૈનિક મોભી કિરીટભાઈ ગણાત્રાને હમાપર ગામે શ્રીમદ ભાગવત સપ્તાહનુ આમંત્રણ આપતા ડાંગર પરીવારના સંજયભાઈ ડાંગર, ચંદ્રેશભાઈ ડાંગર, પ્રભાતભાઈ ડાંગર, વરજાગભાઈ ડાંગર તસ્વીરમા નજરે પડે છે
(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૧ : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના હમાપર ગામે ડાંગર પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. 'અકિલા' કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા ને હમાપર ગામે શ્રીમદ ભાગવત સપ્તાહનુ આમંત્રણ ડાંગર પરીવારના સંજયભાઈ ડાંગર, ચંદ્રેશભાઈ ડાંગર, પ્રભાતભાઈ ડાંગર, વરજાગભાઈ ડાંગરે પાઠવ્યું હતું અને વિગતો વર્ણવી હતી
શ્રી નાથાબાપાના મંદિર ખાતે તા.૩.૪.૨૦૨૨થી શરુ થનાર આ કથા દરમ્યાન તમામ ધાર્મિક કાર્યક્રમો ધામધૂમથી ઉજવાશે. તા.૯ મી એપ્રિલે વિરામ પામનાર આ કથાનો લાભ લેવા કેશુભાઈ નરસંગભાઈ ડાંગર, ચંદ્રેશભાઈ મનુભાઈ ડાંગર, તેમજ કેશુભાઈ દેવરાજભાઈ ડાંગર (મુરલીધર હોટેલ-ધ્રોલ) દ્વારા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરાયો છે.
સ્વ. દેવરાજભાઈ ગગુભાઈ ડાંગર, સ્વ. નરસંગભાઈ ગગુભાઈ ડાંગર, સ્વ. જીવાભાઈ ગગુભાઈ ડાંગર, સ્વ. પબાભાઈ ગગુભાઈ ડાંગર, સ્વ. બચુભાઈ પબાભાઈ ડાંગરના સ્મરણાર્થે યોજાનાર એ કથામાં તા.૩ ના રોજ સવારે ૯-૩૦ કલાકે પોથીયાત્રા, તા.૬ના રોજ નૃસિંહજી પ્રાગટ્ય, તા. ૭ ના રોજ વામનજી પ્રગટ્યા, રામચંદ્રજી પ્રગટ્યા, કૃષ્ણ જન્મોત્સવ, તા.૮ ના રોજ ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ અને તા.૯ના રોજ કથા વિરામ પામશે.
સવારના ૯થી ૧૨ અને બપોરના ૩-૩૦ થી ૬-૩૦ દરમિયાન કથા શ્રવણ થઇ શકશે. તા. ૪ ના રોજ આદિત્યાણાવાળા ભીમભાઈ ઓદેદારના કાનગોપી રાસ ગરબાનો કાર્યક્રમ યોજાશે. તા.૭ના રોજ રાત્રીના કથાસ્થાલે ભવ્ય લોકડાયરાનું આયોજન થયું છે. જેમાં દેવાયતભાઈ ખવડ અને વિજયભાઈ ગઢવી ભજનની રમઝટ બોલાવશે. કથાની વ્યાસપીઠે ભાગવત કથાકાર શાસ્ત્રી નાનાલાલ રાજયગુરૂ બિરાજીને પોતાની આગવી શૈલીથી હજારો ભાવિકોને કથાનું રસપાન કરાવશે.
કથાના મુખ્ય અતિથીઓ તરીકે જામનગર-દ્વારકાના સાંસદ પુનમબેન માડમ, સાંધ્ય દૈનિક અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા ખાસ હાજર રહેશે. જયારે કથા આયોજનને બિરદાવવા હાજર રહેનાર અતીથીઓમાં માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, લાભુભાઈ હુંબલ સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ, રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેર, વડોદરાના પૂર્વ મેયર અને ગુજરાત પ્રદેશ ભાજપના સહ પ્રવકતા ભરતભાઈ ડાંગર, રાજકોટના મેયર પ્રદીપભાઈ ડવ, માલવિયા કોલેજ રાજકોટના ચેરમેન ઘનશ્યામભાઈ હેરભા, રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, રાજકોટ મહાનગર પાલિકના પૂર્વ કોર્પોરેટરો હરિભાઈ ડાંગર અને બાબુભાઈ મકવાણાનો સમાવેશ થાય છે.(૨૧.૯)
સંતોના આશીર્વાદ
ધ્રોલના હમાપરમાં કથા દરમિયાન મોરબી જીલ્લાના વવાણીયા આશ્રમના મહંત શ્રી જગન્નાથજી ગુરૂશ્રી લખીરામજી, સંતશ્રી પ્રભુદાસ ગુરૂશ્રી જગન્નાથજી, ચરાડવા મહાકાળી આશ્રમના સંત શ્રીદયાનંદગીરીજી મહારાજ, વ્રજવાણીધામ-કચ્છના પુ.રામદાસ બાપુ, મોગલધામ તારાણાધાર, જોડીયાના આઇશ્રી મુરીમાંની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.