Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

ગુરૂવારે રાષ્ટ્રપતિ દ્વારકામાં : એપ્રિલમાં નરેન્દ્રભાઇના પ્રવાસની શકયતા

જામનગરના વાલસુરા ખાતેના એરફોર્સના કાર્યક્રમ સાથે દ્વારકાધીશ ભગવાનનાં દર્શને રામનાથ કોવિંદ આવશે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૨૧ : દ્વારકા યાત્રાધામની મુલાકાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તા. ૨૪મીના દ્વારકાધીશના દર્શનાર્થે આવી રહ્યા છે. તેમના કાર્યક્રમ મુજબ રાષ્ટ્રપતિ સવારે ૧૧ થી૧ વાગ્યા સુધી દ્વારકા ખાતે રોકાણ કરશે. તેઓ જામનગર ખાતે વાલસુરામાં એરફોર્સના કાર્યક્રમ આવનાર હોય તેના સંદર્ભમાં દ્વારકાનો કાર્યક્રમ નક્કી થયો છે.દેવભૂમિ દ્વારકા જીલ્લાના વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રપતિના કાર્યક્રમને આખરી ઓપ આપવા આજે ખાસ બેઠક પણ સંબંધિત વિભાગોની બોલાવવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્વારકા સર્કલ હાઉસમાં બપોરનું ભોજન લેશે અને ત્યારબાદ જામનગર ખાતે રવાના થશે.

આવતા એપ્રિલ માસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો પણ દ્વારકા અને બેટદ્વારકાનો કાર્યક્રમ થઇ રહી હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યુ છે અને વડાપ્રધાન દ્વારા દ્વારકા વિસ્તાર માટે કોઇ ખાસ પ્રવાસન અને ધાર્મિક યોજનાની જાહેરાત અથવા તો ખાતમુહૂર્ત થાય તેવું પણ જાણવા મળે છે.

મોદી ગત વિધાનસભાની ચૂંટણીપૂર્વ  વર્ષ ૨૦૧૭ના સપ્ટેમ્બરની ૧૭ તારીખે દ્વારકાની મુલાકાત લીધી હતી ત્યારે તેઓએ બેટ દ્વારકાના સીગનેચર બ્રીજના કાર્યનો પ્રાંરભ કર્યો હતો.

(10:44 am IST)