Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

નરેશ પટેલને આવકારવા કોંગ્રેસ આતુરઃ ધોરાજીમાં લડવા લલિત વસોયાનું નિમંત્રણ

કોંગ્રેસના બે ધારાસભ્‍યો સહિતના આગેવાનોનો આગોતરો આવકાર

રાજકોટ,તા. ૨ : ખોડલધામના વડા શ્રી નરેશ પટેલને આવકારવા કોંગ્રેસમાં થનગનાટ હોવાનો નિદેષ કોંગી આગેવાનોએ કર્યો છે. જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ અર્જુન ખાટરિયાએ જણાવેલ કે તેઓ કોગ્રેસમાં જોડાય તો કોંગ્રેસનું સૌભાગ્‍ય ગણાશે અને પાર્ટી વધુ મજબૂત બનશે.
પડધરીના ધારાસભ્‍ય લલિત કગથરાએ જણાવેલ કે નરેશભાઇ બાબતની સૌની આતુરતાનો અંત નજીકમાં આવી શકે છે. તેમના પરિવારની વિચારસરણી કોંગ્રેસની છે. તેઓ કોંગ્રેસમાં આવે તેવું ઇચ્‍છીએ છીએ. ભાજપ સરકારની સરમુખત્‍યારશાહીનો અંત લાવવા તેઓ કોંગ્રેસમાં જોડાય તેવું ખેડૂતો યુવાનો વગેરે ઇચ્‍છે છે. જો તેઓ રાજકારણમાં આવે તો કોંગ્રેસમાં જ આવશે તેવી આશા છે.
ધોરાજીના ધારાસભ્‍ય લલિત વસોયાએ પત્રકારોના પ્રશ્‍નના જવાબમાં જણાવેલ કે નરેશભાઇ સાથે કોંગ્રેસના પ્રદેશ અને કેન્‍દ્રીય નેતાઓની ચર્ચા ચાલે છે. તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી આતુરતાથી રાહ જોઇએ છીએ. કોંગ્રેસમાં મુખ્‍યમંત્રી પદનો ચહેરો અગાઉથી જાહેર કરવાની પ્રણાલિકા નથી. ખુદ નરેશભાઇ પણ કોઇ પદ માટે રાજકારણમાં આવવા માંગતા ન હોવાનું પોતે જ સ્‍પષ્‍ટ કર્યું છે.જો તેઓ કોંગ્રેસમાં જોડાઇને ધોરાજી બેઠકથી લડવા ઇચ્‍છે અને પાર્ટી કહે તો તેમને ખંભે બેસાડીને ચૂંટણી લડાવવાની અમારી તૈયારી છે.

 

(2:51 pm IST)