Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વડનગર શેખપુર પ્રાથમીક શાળાના શિક્ષકોના ત્રાસથી મધ્યાહન ભોજનના સંચાલકનો આપઘાત

વડનગરઃ મધ્યાહન ભોજનના સંચાલકને ૩ શિક્ષકો ત્રાસ આપતા હોવાથી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ વડનગરમાં આવેલી શેખપુર પ્રાથમિક શાળાના મધ્યાહ્ન ભોજનના સંચાલકે આત્મહત્યા કરી લીધી હતી. મરતા પહેલા તેમણે એક સ્યૂસાઇડ નોટ લખી હતી. જેમાં શાળાના ત્રણ શિક્ષકોના ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે.

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકમાં શેખપુર પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં મધ્યાહ્ન ભોજન ચાલી રહ્યું છે જેના સંચાલકે આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. સંચાલકે નજીકમાં આવેલા અવાવરૂં કૂવામાં પડીને આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા સ્થળ ઉપર પહોંચી ગયા હતા. આ અંગે પોલીસને પણ જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ પ્રાથમિક તપાસ હાથધરી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક સંચાલક પાસેથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સ્યૂસાઇડ નોટમાં શાળાના ત્રણ શિક્ષકોના ત્રાસથી આત્મહત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખ પ્રમાણે શિક્ષકો ચા પાણી, નાસ્તા માટે રૂપિયા પડાવતા હતા. પોલીસે આ બનાવમાં તપાસ હાથ ધરી છે.

(5:03 pm IST)