Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આપવા મુદ્દે વિવાદઃ ગોલ્ડ મેડલ વિજેતા બજરંગ પુનિયાને પોઇન્ટસ વધુ હોવા છતા અેવોર્ડ ન મળતા આક્રોશ

સબી હુસૈન, નવી દિલ્હીઃ દેશના પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આપવા અંગે વિવાદ ઊભો થયો છે. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ અને જકાર્તા એશિયા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા સ્ટાર પહેલવાન બજરંગ પૂનિયા તેના પોઈન્ટ્સ વધારે હોવા છતાંય તેને એવોર્ડ ન મળતા નારાજ છે. સરકારે આ પુરસ્કાર સંયુક્ત રીતે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂ (48 કિગ્રા)ને આપવાનો નિર્ણય કર્યો છે. કોહલીને 0 પોઈન્ટ્સ મળ્યા છે જ્યારે વર્લ્ડ ચેમ્પિયન વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂને 44 પોઈન્ટ્સ મળ્યા હતા. 11 સભ્યોની સિલેક્શન પેનલ દ્વારા આ વર્ષનો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મીરાબાઈ તથા કોહલીને આપવાની ઘોષણા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કોહલીના પરફોર્મન્સ શીટમાં કોઈ પોઈન્ટ્સ હતા જ નહિં કારણ કે ક્રિકેટ માટે કોઈ માપદંડ નિશ્ચિત કરવામાં આવ્યા નથી.

અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયા પાસે ઉપલબ્ધ દસ્તાવેજો મુજબ ખેલરત્ન મેળવવાની રેસમાં ઓછામાં ઓછા છ લોકો એવા હતો જેનું ટોટલ ચાનૂ કરતા વધારે થતુ હતું. તેમાં પહેલવાન બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટનું ટોટલ 80 પોઈન્ટ્સ થતુ હતું. આ બંનેએ પોતાની સિદ્ધિઓના આધારે સૌથી વધુ પોઈન્ટ્સ હાંસલ કર્યા હતા. જો કે સિલેક્શન પેનલે આ બંનેને અવગણીને કોહલી તથા ચાનૂને ખેલજગતનો સર્વોચ્ચ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે.ખેલમંત્રી સાથે મુલાકાત બાદ પુનિયાએ TOIને જણાવ્યું કે સૌથી વધુ પોઈન્ટ્સ હોવા છતાંય એવોર્ડ માટે તેનું નામ નજરઅંદાજ કરવામાં આવ્યું. આથી શુક્રવારે તે આ અંગે કોર્ટમાં ધા નાંખશે.

દસ્તાવેજમાં 2018ના એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરાયેલા 17 ખેલાડીઓની સિદ્ધિના આધારે મળેલા કેટલાંક પોઈન્ટ્સ લખેલા છે. તેમાં પેરા એથલિટ દીપા મલિક 784 પોઈન્ટ્સ સાથે પૂનિયા અને ફોગાટ કરતા પાછળ છે. ત્યાર બાદ માનિક બત્રા (65 પોઈન્ટ્સ), બોક્સર વિકાસ કૃષ્ણન (52 પોઈન્ટ્સ) અને તીરંદાજ અભિષેક વર્મા (55.3 પોઈન્ટ્સ)ના નામ છે. ઉલ્લેખનીય છે કે ક્રિકેટ માટે કોઈ પોઈન્ટ સિસ્ટમ નથી. ક્રિકેટ કોઈ ઓલેમ્પિક સ્પોર્ટ પણ નથી. એવામાં ક્રિકેટરોને સહમતિના આધારે પસંદ કરવામાં આવે છે જેને કારણે વિવાદ ઊભો થવાની શક્યતા રહે છે.

કમિટીના એક સભ્યએ TOI સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે કોહલીના પ્રદર્શનને કેવી રીતે જજ કરવું તે અંગે કમિટીમાં ચર્ચા પણ થઈ હતી. પોઈન્ટ સિસ્ટમ ઓલમ્પિક અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. 2016 અને 2017માં પણ કોહલીનું નામ સ્વીકારાયુ નહતુ. સિલેક્શન કમિટીના એક સભ્યએ જણાવ્યું કે કોહલીનું નામ ચર્ચાયું ત્યારે ક્રિકેટ માટે પોઈન્ટ સિસ્ટમ ન હોવાને કારણે હાથ ઊંચો કરીને બહુમતિ લેવાઈ અને ત્યાર પછી તેનું નામ પસંદ કરાયુ. વધુમાં સભ્યએ જણાવ્યું કે ’11 સભ્યોમાંથી 8 સભ્યોએ કોહલીની ઉમેદવારીનું સમર્થન કર્યું અને આ રીતે તેનું નામ પસંદ કરાયું.’

મીરાબાઈ અને શ્રીકાંતના કેસમાં પણ આ જ રીતે પ્રક્રિયા કરાઈ હતી. 7 સભ્યોએ મીરાબાઈ માટે પોતાના હાથ ઉપર કર્યા હતા અને છ એ શ્રીકાંતને ટેકો આપ્યો હતો. આવામાં બીજુ નામ મીરાબાઈનું પસંદ કરવામાં આવ્યું. શ્રીકાંતના નામ પર પણ ચર્ચા થઈ અને ઈન્ટરનલ વોટિંગ કરવામાં આવ્યું. જો કે એના નામ પર સ્પષ્ટ બહુમતિ ન મળતા કોહલી અને મીરાબાઈનું નામ ફાઈનલ કરવામાં આવ્યું. બજરંગ અને વિનેશનું નામ ચર્ચાયુ પરંતુ એવોર્ડ આપવા અંગે તેમના નામ પર વિચાર ન થયો. રસપ્રદ વાત એ છે કે કમિટી પોતાના કોઈપણ ખેલાડીને 20 પોઈન્ટ્સ આપી શકે છે.

ત્યાર બાદ પોઈન્ટ્સ ઓલમ્પિક, વર્લ્ડ ચેમ્પિયનશિપ, એશિયન અને કોમનવેલ્થ ગેમ્સના પ્રદર્શન આધારિત મળે છે. 17 અરજદારોમાંથી કમિટીમાં 11 સભ્યોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે પોઈન્ટ આપ્યા- ચાનુ (19), કોહલી (18.5), શ્રીકાંત (18), વિનેશ (13), રોહન બોપન્ના (12), બજરંગ પૂનિયા (12), નીરજ ચોપડા (15), દીપા મલિક (12), વિકાસ કૃષ્ણન (14), મનિકા બત્રા (13) અને પેરા રેસલર વિરેન્દર સિંહ (12). આવામાં મીરાબાઈનો કુલ સ્કોર 63, પૂનિયાનો 92. ફઓગાટનો 93, મલિકનો 90.4, બત્રા 78 અને વિકાસનો 66 થાય છે.

અમારા સહયોગી અખબાર TOIને પૂનિયાએ જણાવ્યું કે તે શુક્રવારે કોર્ટમાં જશે. તેનો તર્ક સાવ સરળ છે. કમિટીએ તેને સર્વોચ્ચ સ્કોર આપ્યો પરંતુ સૌથી મોટા પુરસ્કાર માટે તેનું નામ નજરઅંદાજ કરાયું. તેણે કહ્યું, ‘હું કમિટીને પૂછવા માંગુ છું કે આવામાં પોઈન્ટ સિસ્ટમનો ઉપયોગ જ શું છે?’ બજરંગે વધુમાં કહ્યું કે તે મીરાબાઈ અને કોહલીને માન આપે છે. બંને ચેમ્પિયન ખેલાડી છે પરંતુ મીરાબાઈ અને મારા ક્રિડેન્શિયલ્સની કોઈ તુલના જ નથી. જો તમે તેમને એવોર્ડ આપતા હોવ તો મને કેમ નહિં?

(5:00 pm IST)