Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

15 મહિનાના લાંબા સમય બાદ દુનિયાના સૌથી સફળ વિકેટ કીપર-બેટ્‍સમેન મહેન્‍દ્રસિંહ ધોની ક્રિકેટના મેદાનમાં પરત ફરશેઃ કોરોનાના લીધે ક્રિકેટમાં પરત ફરવામાં મોડુ થયુ

નવી દિલ્હી: આજથી ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની શરૂઆત મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થશે. ગત વર્ષે ફાઇનલમાં એકબીજાને ટક્કર આપનાર ધોની અને રોહિત સહ્ર્મા ફરીથી એકબીજાની આમને-સામને હશે. આ સાથે જ 15 મહિનાના લાંબા સમય બાદ દુનિયાના સૌથી સફળ વિકેટકીપર અને બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટના મેદાન પર વાપસી કરશે. ધોનીએ આ પહેલાં છેલ્લે જુલાઇમાં ન્યૂઝિલેન્ડ વિરૂદ્ધ પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમી હતી.

ગત મહિને 15 ઓગસ્ટના રોજ મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી બધાને અચંબામાં મુકી દીધા હતા. એક વર્ષમાં ધોનીના સંન્યાસને લઇને ઘણા અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ સ્ટાર બેટ્સમેનએ ક્યારેય તેને લઇને પ્રતિક્રિયા આપી નથી. જોકે ધોનીના ઇરાદાને જોતાં લાગે છે કે તે આ સીઝન બાદ પણ આઇપીએલમાં રમવાનું શરૂ રાખી શકે છે. ચેન્નઇ સુપર કિંગ્સના મેનેજમેન્ટનું કહેવું છે કે ધોની ઓછામાં ઓછી બે સિઝન સીએસકે માટે રમશે.

કોરોના વાયરસના લીધે પણ મહેન્દ્ર સિંહ ધોનીની મેદાન પર વાપસી કરવામાં મોડું થયું છે. ધોનીએ માર્ચની શરૂઆતમાં જ આઇપીએલની તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને તે ચેન્નઇમાં ટીમ કેમ્પ સાથે પ્રેક્ટિસ પણ કરવા પહોંચ્યો હતો. પરંતુ લોકડાઉનના કારણે જ્યારે પ્રેકટિસ કેમ્પને રદ કરવામાં આવ્યો તો ધોની પરત પોતાના ઘરે રાંચી જતો રહ્યો. લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર ધોનીની તસવીરો ખૂબ વાયરલ થઇ હતી.

(4:19 pm IST)