Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર બેટ્‍સમેન નમન ઓઝાએ બે દાયકા સુધી ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

ઈન્દોરઃ ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાએ લગભગ બે દાયકા સુધી ઘરેલૂ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ રમતના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. રણજી ટ્રોફીમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ શિકાર (351)નો રેકોર્ડ પોતાના નામે રાખનાર મધ્યપ્રદેશના દિગ્ગજે એક ટેસ્ટ, એક વનડે અને બે ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યુ છે.

સંન્યાસની જાહેરાત કરતા સમયે આવ્યા આંસુ

ઓઝાએ રમતના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરતા કહ્યુ કે, તે હવે દુનિયાભરમાં ટી20 લીગોમાં રમવા ઈચ્છે છે. સંન્યાસની જાહેરાત કરતા સમયે 37 વર્ષીય ખેલાડીની આંખો નમ થઈ ગઈ હતી. તેણે કહ્યું, 'હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છું. લાંબી સફર હતી અને રાજ્ય તથા રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરવાનું મારૂ સપનું પૂરુ થયું.' તેણે રાજ્ય અને રાષ્ટ્રીય ટીમમાં તક આપવા માટે મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન (MPCA) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નો આભાર વ્યક્ત કર્યો હતો.

બધાનો માન્યો આભાર

ઓઝાએ કહ્યુ, હું મારા કરિયર દરમિયાન સાથ આપવા માટે એમપીસીએ, બીસીસીઆઈ અને સાથી ખેલાડીઓ તથા કોચ સિવાય મારા પરિવાર અને મિત્રોનો આભાર માનીશ. માત્ર 17 વર્ષની ઉંમરમાં 2000-01 સત્રથી ઘરેલૂ ક્રિકેટમાં મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કરનાત ખેલાડી માટે કરિશ્માઈ એમએસ ધોનીના યુગમાં રાષ્ટ્રીય ટીમ માટે વધુ તક મળવી મુશ્કેલ થઈ ગઈ.

આવું રહ્યું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર

ઘરેલૂ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન બાદ 2010માં શ્રીલંકા વિરુદ્ધ એકદિવસીય અને ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં બે મેચ રમવાની તક મળી. તેણે ત્યારબાદ ટીમમાં સ્થાન મળ્યું નહીં. ભારત એની સાથે 2014મા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર બેટથી શાનદાર પ્રદર્શન કર્યા બાદ 2015મા તેની પસંદગી ભારતીય ટીમ માટે થઈ હતી. શ્રીલંકાના પ્રવાસ પર ત્રીજી ટેસ્ટમાં તેને પર્દાપણની તક મળી હતી જેમાં તેણે પ્રથમ ઈનિંગમાં 21 અને બીજી ઈનિંગમાં 35 રન બનાવ્યા હતા.

કારણે નિવૃતિ લેવા થયો મજબૂર

પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 143 મેચોમાં 41.67ની એવરેજથી 9753 (રણજીમાં 7861) રન બનાવવાની સાથે વિકેટની પાછળ 54 સ્ટમ્પિંગ સહિત 471 શિકાર કરનાર ઓઝાએ કહ્યુ કે, તેને બીજી ટીમોથી ઘરેલૂ ક્રિકેટમાં રમવાનો પ્રસ્તાવ મળ્યો હતો પરંતુ પરિવારને પ્રાથમિકતા આપવાને કારણે તેણે તેનો અસ્વીકાર કરી દીધો છે.

તેણે પાછલા વર્ષે જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશ વિરુદ્ધ પોતાની અંતિમ રણજી મેચ રમી હતી. તેણે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ, દિલ્હી ડેયરડેવિલ્સ અને સનરાઇઝર્સ હૈદરાહાદનું પ્રતિનિધિત્વ કર્યુ છે. તે ટાઇટલ જીતનારી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો સભ્ય હતો.

(5:36 pm IST)