Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

ભારતીય ક્રિકેટ બોર્ડની મહેન્દ્રસિંહ ધોનીની મોટી જવાબદારી સોંપવા વિચારણા

ટી૨૦ વર્લ્ડકપ ન જીતી શકતા ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારની તૈયારી : બીસીસીઆઈ ભારતીય ટી૨૦ ક્રિકેટના સેટઅપ સાથે મોટી ભૂમિકા માટે ધોનીને એસઓએસ મોકલવા માટે તૈયાર

નવી દિલ્હી, તા.૧૫ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ સેમિફાઇનલમાંથી બહાર નીકળ્યા અને મોટી ટૂર્નામેન્ટોમાં સતત નિષ્ફળતા બાદ મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ તૈયારીઓ વચ્ચે બીસીસીઆઈ ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મોટી જવાબદારી સોંપવા જઈ રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે બીસીસીઆઈ ભારતીય ટી૨૦ ક્રિકેટના સેટઅપ સાથે મોટી ભૂમિકા માટે ધોનીને એસઓએસ મોકલવા માટે તૈયાર છે. બીસીસીઆઈ ભારતીય ક્રિકેટમાં સ્થાયી ભૂમિકા માટે ધોનીને બોલાવવાનું વિચારી રહ્યું છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલને લાગી રહ્યું છે કે, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ માટે ત્રણેય ફોર્મેટમાં મેનેજમેન્ટનું કામ કરવું થોડું ભારે છે.

બીસીસીઆઈ કોચિંગની ભૂમિકાઓને વિભાજિત કરવા પર વિચાર કરી રહી છે. આ જોતા બીસીસીઆઈ ધોનીને સામેલ કરવા અને ટીમ ઈન્ડિયાનું સ્તર ઉંચુ કરવાના પ્રયાસો કરી રહી છે. અહેવાલો અનુસાર, આ મહિનાના અંતમાં યોજાનારી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે.

રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ ૨૦૨૩ની રમતમાંથી સંન્યાસ લઈ શકે છે. જે બાદ બીસીસીઆઈ તેને તેના અનુભવ અને ટેકનિકનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની મોટી જવાબદારી આપી શકે છે. ભારતને બે વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીને ખાસ કરીને ટીમ ઈન્ડિયા સાથે ટી૨૦ ટીમ ચલાવવા માટે કહેવામાં આવી શકે છે.

જોકે, ધોનીને ક્યારે અને કયા ફોર્મેટમાં જવાબદારી સોંપવામાં આવશે તે અંગે બીસીસીઆઈ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. મહત્વનું છે કે,આ મહિનાના અંત સુધીમાં બીસીસીઆઈ એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ધોનીની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવશે.

 

(7:41 pm IST)