Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

કોરોનાથી ચિંતિત ભારતીય ક્રિકેટર્સે ટેસ્ટ માટે ના પાડી

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખની સ્પષ્ટતા : આઈપીએલને લીધે મેચ રદ કરી હોવાની વાતને ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ફગાવી દીધી

કોલકાતા, તા.૧૩ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હતી જેને લઈને વિવાદ પણ ઊભો થયો છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની માઈકલ વોન સહિત કેટલાક નિષ્ણાતોએ તેના માટે આઈપીએલને જવાબદાર ગણાવી હતી. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ મેચ રદ કેમ થઈ તેનો ખુલાસો કર્યો છે.

ગાંગુલીએ જણાવ્યું છે કે ભારતીય ટીમના ખેલાડીઓએ કોરોનાવાયરસની ચિંતાના કારણે પાંચમી અને અંતિમ ટેસ્ટ રમવાની ના પાડી દીધી હતી. મેચ રદ થઈ તેમાં આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નો કોઈ ભાગ નથી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે શુક્રવારે પાંચમી ટેસ્ટ રમાવાની હતી. જોકે, મેચ રૂ થાય તેના બે કલાક પહેલા ભારતીય ટીમે રમવા માટે ઉતરવાની ના પાડી દીધી હતી જેના કારણે મેચ રદ થઈ હતી. ભારત શ્રેણીમાં -૧થી આગળ હતું. મેચના આગલા દિવસે ભારતીય ટીમના જૂનિયર ફિઝિયોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ગાંગુલીએ એક ભારતીય અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ખેલાડીઓએ રમવાની ના પાડી હતી પરંતુ તમે તેમને દોષ દઈ શકો નહીં. ફિઝિયો યોગેશ પરમાર તેમના સંપર્કમાં હતા. તે ખેલાડીઓ સાથે હળતા મળતા હતા. તેથી ખેલાડીઓને જ્યારે ખબર પડી કે યોગેશ પરમારને કોરોના થયો છે ત્યારે તેઓ ડરી ગયા હતા.

ભૂતપૂર્વ સુકાની માઈકલ વોને કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓ આઈપીએલ પહેલા કોરોના પોઝિટિવ આવે તેવું ઈચ્છતા હતા. જે ૧૯ સપ્ટેમ્બરથી યુએઈમાં રમાવાની છે. જોકે, ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના સીઈઓ ટોમ હેરિસને કહ્યું હતું કે, પાંચમી ટેસ્ટ રદ થઈ તેને આઈપીએલ સાથે કોઈ લેવા-દેવા નથી. ટોમ હેરિસને કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ક્યારેય બેજવાબદાર રહ્યું નથી. આપણે અન્ય બોર્ડના નિર્ણયોનું સન્માન કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે રદ થયેલી ટેસ્ટ આગામી વર્ષે રમાઈ શકે છે.

(8:46 pm IST)