Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

મારા એકાઉન્ટમાં આવનાર દાનથી પાકિસ્‍તાનમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું દેવુ ઉતારીશઃ પૂર્વ ક્રિકેટ કેપ્ટન જાવેદ મિયાદાદે નિર્ણય કર્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદએ પાકિસ્તાનનું દેવું ઉતારવા માટે એક બેન્ક એકાઉન્ટ ખોલવાનો નિર્ણય લીધો છે. મિયાંદાદે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને આ વાતની જાહેરાત કરી છે. આ વીડિયોમાં તેઓ પોતાના પ્લાન વિશે વિગતે વાત કરી રહ્યા છે. મિયાંદાદનો દાવો છે કે તેઓ આ એકાઉન્ટમાં આવનાર દાનથી આઈએમએફ (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ)નું દેવું ઉતારશે.

વીડિયોમાં મિયાંદાદે દરેક પાકિસ્તાની, જેમાં દેશને લૂટનાર ભ્રષ્ટ પાકિસ્તાની સામેલ છે તેને આ કેમ્પેનમાં મોટુ દાન આપવાની અપીલ કરી છે. પૂર્વ ક્રિકેટરે કહ્યુ કે તે ભીખ માગી રહ્યા છે પરંતુ પોતા માટે નહિ દેશ માટે. તેમણે કહ્યુ કે, તેઓ જલદી નેશનલ બેન્ક ઓફ પાકિસ્તાનમાં એક ખાતુ ખોલાવશે, જેમાં લોકો પૈસા જમા કરાવી શકશે.

મિયાંદાદે કહ્યું કે, આ એક આંતરરાષ્ટ્રીય બેન્ક ખાતુ હશે. પાકિસ્તાનના આ પૂર્વ કેપ્ટન અને કોચે કહ્યુ, આ ખાતુ તેઓ પોતાના નામથી ખોલાવશે અને એક પણ પૈસાનો ખોટો ઉપયોગ થશે નહીં. મિયાંદાદે કહ્યુ કે, તે આ પૈસાથી આઈએમએસનું પાકિસ્તાન પર રહેલું દેવું ભરશે.

મિયાંદાદે વિદેશોમાં રહેલા પાકિસ્તાનીઓને કહ્યુ, હું તમને એક સાથે પૈસા આપવાનું કહી રહ્યો નથી. તમે એક ડોલર, બે ડોલર, 100 ડોલર મહિને, જેટલુ તમારાથી થાય એટલા જમા કરાવો. જેથી પાકિસ્તાનનું દેવું ઉતારી શકાય.

તેમણે કહ્યુ કે, પાકિસ્તાનને દેવામાથી બહાર કાઢવુ ખુબ જરૂરી છે. મિયાંદાદ પ્રમાણે, જો પાકિસ્તાન વધુ લોન લેવા જશે તો આઈએમએસ તેની પાસે એટમ બોમ્બ (ન્યૂક્લિયર પાવર) લઈ લેશે. મિયાંદાદને લાગે છે કે લોનની શરતો આકરી કરવામાં આવી છે અને જો પાકિસ્તાનને લોન જોઈએ તો તેની પાસેથી ન્યૂક્લિયર પાવરનો ટેગ છીનવાઇ જશે.

તેમણે કહ્યુ કે, પહેલા ડેમ માટે પૈસા ભેગા કરવામાં આવી ચુક્યા છે અને તેવામાં પાકિસ્તાનનું દેવું ઉતારવા માટે ફંન્ડિંગ કામ આવી શકે છે.

(5:04 pm IST)