Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

આઇપીએલ-21 હવે પૂર્ણ થવા તરફઃ ટીમ ઇન્‍ડીયા માટે ખરાબ રમનાર કેદાર જાધવનું કરિયર ખતમ થઇ જશે ? આવતા વર્ષે ભાગ્‍યે જ કોઇ ટીમ ખરીદશે

સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ પણ આ વર્ષે સૌથી ખરાબ રમતી ટીમ સાબિત થઇ

નવી દિલ્હી: આઇપીએલ 2021 ધીરે ધીરે પૂર્ણ થવા તરફ આગળ વધી રહી છે. લીગ સ્ટેજની મેચો હવે પૂરી થઈ ગઈ છે અને ટૂર્નામેન્ટ હવે પ્લેઓફમાં પહોંચી ગઈ છે. આ લીગમાં દુનિયાભરના ખેલાડીઓ જુદી-જુદી ટીમો સાથે રમીને પોતાનો જલવો દેખાળે છે. ત્યારે ઘણા એવા ખેલાડીઓ છે જેઓ દેશની ટીમમાંથી હટાવ્યા બાદ આઇપીએલમાં સારૂં પ્રદર્શન કરી પુનરાગમન કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ટીમ ઇન્ડિયા તરફથી રમી રહેલા એક અનુભવી ક્રિકેટર એવો પણ છે જેના માટે આ આઇપીએલ કરિયરનો અંત લાવી શકે છે.

ખતમ થયું આ ક્રિકેટરનું કરિયર?

IPL માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમનાર કેદાર જાધવ માટે ક્રિકેટમાં દિવસો સારા નથી જઈ રહ્યા. જાધવે ટીમ ઇન્ડિયા માટે છેલ્લી મેચ ગત વર્ષે ફેબ્રુઆરીમાં રમી હતી અને હવે કેપ્ટન વિરાટ કોહલી તેને ટીમમાં લેવાનું પણ પસંદ નથી કરતો. ટીમ ઈન્ડિયા માટે ખરાબ રમનાર જાધવ આઈપીએલમાં પોતાની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે વધારે કંઈ કરી શક્યો નહોતો, ત્યારબાદ તેને ટુર્નામેન્ટની છેલ્લી મેચોમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ગત વર્ષે CSK માંથી હટાવ્યા બાદ હૈદરાબાદ દ્વારા જાધવને તેમની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે આ ટીમ તેને આવતા વર્ષે પણ છોડી શકે છે અને આવતા વર્ષે ભાગ્યે જ કોઈ ટીમ તેને ખરીદશે.

હૈદરાબાદનું પ્રદર્શન પણ શરમજનક

કેધર જાધવની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ પણ આ વર્ષે IPL માં સૌથી ખરાબ રમતી ટીમ છે. 14 મેચમાંથી આ ટીમને 11 માં હારનો સામનો કરવો પડ્યો છે અને આ ટીમ પ્લેઓફની રેસમાંથી પણ બહાર થઈ ગઈ છે. આઇપીએલના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે હૈદરાબાદની ટીમ ટેબલમાં સૌથી નીચે છે. આ ટીમના કોઈ પણ ખેલાડીએ એવું પ્રદર્શન નથી કર્યું જેની ચર્ચા થઈ શકે.

ધોનીના નીકળતાં જ ટીમમાંથી થયો બહાર

જણાવી દઈએ કે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટીમના કેપ્ટન હતા ત્યાં સુધી કેધર જાધવનું પ્રદર્શન અદ્ભુત હતું. જાધવ બેટથી કમાલ કરતો હતો, પરંતુ તે વચ્ચે તેની જુદા જુદા એક્શનના આધારે ટીમ માટે મહત્વપૂર્ણ વિકેટ મેળવતો હતો. કોહલીની કેપ્ટનશિપ દરમિયાન પણ ધોની જાધવનો વિકેટ લેનાર તરીકે ઉપયોગ કરતો હતો. પરંતુ હવે તેને ટીમમાં સ્થાન મળતું નથી. આવી સ્થિતિમાં હવે તેની કારકિર્દી ખતમ થવાનો ભય છે.

(4:47 pm IST)