Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

પ્લેઓફમાં સ્થાન ન મળે તો દુનિયાનો અંત નહીં આવી જાય

દિલ્હી સામેના વિજય બાદ કેપ્ટન ધોનીનું નિવેદન ઃ સીએસકેના ૧૧ મેચમાં ૮ પોઈન્ટ છે ઃ ચેન્નાઈએ હવે મુંબઈ, હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમવાનું છે

મુંબઈ,તા.૯ ઃ ચેન્નાઈ સુપરકિંગ્સના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ રવિવારે  દિલ્હી કેપિટલ્સવિરુદ્ધ ૯૧ રનથી જીત મેળવ્યા પછી એક મોટું નિવેદન આપ્યું છે. ધોનીએ જણાવ્યું કે, આ પ્રકારની મોટી જીતથી મદદ મળે છે પરંતુ આ જીત સીરિઝની શરુઆતમાં મળતી તો વધારે સારુ હતું. આ જીતથી ચેન્નાઈ સુપરકિંગ્સનો ૧૧ મેચમાં આઠ સ્કોર થઈ ગયો છે, પરંતુ ટીમ નોકઆઉટમાં સ્થાન મેળવે તેની શક્યતા ઘણી ઓછી છે.

ગઈકાલની મેચમાં ચેન્નાઈએ પહેલા ૨૦૮ રન ફટકાર્યા. ડેવોન કોનવેએ ૪૯ બોલમાં પાંચ સિક્સર અને સાત ચોગ્ગા માર્યા અને કુલ ૮૭ રનની ઈનિંગ રમી. ૨૦૯ રનનો ટાર્ગેટ મેળવનાર દિલ્હીની ટીમ મોઈન, ડ્વેન બ્રાવો, મુકેશ ચૌધરી અને સિમરજીત સિંહની બોલિંગ સામે ૧૭.૪ ઓવરમાં ૧૧૭ રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. ચેન્નાઈના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ જીત્યા પછી આગામી મેચો બાબતે મહત્વની વાત કહી હતી.

ધોનીએ કહ્યું કે, મોટા તફાવત સાથે જીતવાને કારણે મદદ તો મળે છે, પરંતુ આ જીત પહેલા મળતી તો સારુ હતું. જો કે આ એક પર્ફેક્ટ મેચ હતી. બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું. હું ટોસ જીતવા માંગતો હતો પરંતુ આ એક એવા પ્રકારની મેચ હતી જ્યાં તમે ટોસ હારવા માંગો છો. ધોનીએ ઓપનિંગ બેટ્સમેન અને બોલર્સના વખાણ કરતાં કહ્યું કે, તેમણે અદ્દભુત મંચ તૈયાર કર્યો જેના કારણે મદદ મળી. અમારે સુનિશ્ચિત કરવાનુ હતું કે તેમના મોટા હિટર રિધમમાં ન આવે. સિમરજીત અને મુકેશે મેચ્યોર થવામાં સમય લીધો, તમામ ખેલાડીઓ પોતાનો સમય લેતા હોય છે.

પ્લે ઓફમાં પહોંચવાના સમીકરણ બાબતે ધોનીએ કહ્યું કે, હું ગણિતનો મોટો ફેન નથી, સ્કૂલમાં પણ મારું ગણિત સારુ નહોતું. રન રેટ વિશે વિચારવાથી મદદ નથી મળતી. જ્યારે બે અન્ય ટીમ રમી રહી હોય ત્યારે તમે પ્રેશર અને વિચારમાં રહેવા નથી માંગતા. તમારે બસ વિચારવાનું હોય છે કે આગામી ગેમમાં શું કરવું છે.

 જો અમે પ્લેઓફમાં સ્થાન મેળવીશું તો સારી વાત છે. પરંતુ જો અમે તે ના કરી શક્યા તો દુનિયાનો અંત નથી આવી જવાનો.

ઉલ્લેખનીય છે કે ચેન્નાઈના ૧૧ મેચમાં ૮ પોઈન્ટ છે. ટીમે હવે મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમવાનું છે. જો આ તમામ મેચમાં ટીમ જીતી જશે તો તેના ૧૬ પોઈન્ટ થશે અને પ્લેઓફમાં પહોંચવાની એક આશા જાગશે. એક પણ મેચ હારશે તો ટીમ ટૂર્નામેન્ટથી બહાર થઈ જશે.

(8:10 pm IST)