Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીમાં ૧૦૦ ટકા પ્રેક્ષકોની છૂટ

બ્રિટનનો કોરોનાને લગતા પ્રતિબંધો હટાવવાનો નિર્ણય : ઈંગ્લેન્ડના પેસ બોલર સ્ટુઅર્ટ બ્રોડે આ જાણકારીને શેર કરવા માટે બાર્મી આર્મીની એક વિડિયો ક્લિપ શેર કરી

લંડન, તા. : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચ ટેસ્ટ મેચની સિરિઝ દરમિયાન દર્શકોને સ્ટેડિયમમાં આવીને મેચ જોવાની છુટ આપવામાં આવશે.

સોમવારે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કોરોનાને લગતા પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ વખતે પણ લોકોને સ્ટેડિયમમાં આવવાની છુટ આપવામાં આવી હતી. જોકે મેદાનમાં ૪૦૦૦ દર્શકોને પરવાનગી અપાઈ હતી.

જોકે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરિઝમાં સ્ટેડિયમ ૧૦૦ ટકા ક્ષમતાથી ભરી શકાશે. ઈંગ્લેન્ડના પેસ બોલર સ્ટુઅર્ટ બ્રોડે જાણકારીને શેર કરવા માટે બ્રિટનના દર્શકોની બાર્મી આર્મીની એક વિડિયો ક્લિપ શેર કરી હતી. બ્રોડે કહ્યુ હતુ કે, ૧૯ જુલાઈથી કોવિડના પ્રતિબંધ સમાપ્ત કરવામાં આવી રહ્યા છે. ટેન્ટબ્રિજમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલો મુકાબલો યોજાશે. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ભારતને એક પ્રેક્ટિસ મેચ રમવા માટેનુ આયોજન કર્યુ છે. ૨૦ થી ૨૨ જુલાઈ વચ્ચે ટીમ ઈન્ડિયા એક મેચ રમશે. જોકે મેચ કોની સામે રમાવાની છે તે હજી જાહેર કરવામાં આવ્યુ નથી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરિઝનો પ્રારંભ ઓગસ્ટથી ટેન્ટ બ્રિજ ખાતે થશે.

(7:23 pm IST)