Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

આત્મવિશ્વાસથી ભરપૂર ટીમ ઇન્ડિયા રોહિત શર્માના નેતૃત્વમાં પાકિસ્‍તાનનો વિશ્વ રેકોર્ડ તોડવા માટે મેદાને ઉતરશે

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટ્વેન્ટી 20 સિરીઝનો બુધવારથી પ્રારંભ થશે. શ્રેણીની પ્રથમ મે વેલિંગટનમાં રમાશે. આ ટી20 સિરીઝમાં ભારતીય ટીમ માટે ખાસ છે, કારણ કે આ વખતે ટીમ ઈન્ડિયાની પાસે ઈતિહાસ રચવાની તક છે. ભારતની પાસે આ સિરીઝ જીતી કે બરોબરી પર સમાપ્ત કરીને પાકિસ્તાનના વિશ્વ રેકોર્ડની બરોબરી કરવાની તક રહેશે. વનડે સિરીઝમાં 4-1થી જીત્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર ટીમ ઈન્ડિયા રોહિત શર્માના નેતૃત્વમાં આ રેકોર્ડને તોડવા માટે મેદાને ઉતરશે.

ટીમ ઈન્ડિયા તોડશે પાકનો વિશ્વ રેકોર્ડ!

આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં સતત સૌથી વધુ ટી20 સિરીઝમાં અપરાજિત રહેવાનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે જે સતત 11 સિરીઝથી અપરાજીત હતું. ભારતમાં 2016માં ટી20 વિશ્વકપ બાદ પાકિસ્તાન સતત 11 ટી20 સિરીઝમાં અપરાજીત રહેવાનો ક્રમ રવિવારે સાઉથ આફ્રિકાએ તોડ્યો હતો.

ભારત આ સમયે છેલ્લી 10 ટી20 સિરીઝમાં અપરાજીત છે અને જો તે કીવી ટીમ વિરુદ્ધ આ ટી20 સિરીઝ જીતે કે ડ્રો કરાવે તો પાકિસ્તાનના વિશ્વ રેકોર્ડને બરોબરી કરી લેશે. ત્યારબાદ ભારત આ મહિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે મેચોની ટી20 સિરીઝ રમશે જેમાં તેની પાસે પાકિસ્તાનના રેકોર્ડ તોડવાની તક હશે.

જુલાઈ 2017 બાદ ટી20 સિરીઝમાં નથી હાર્યું ભારત

ભારતે છેલ્લા 9 જુલાઈ 2017માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 1 ટી20 મેચની સિરીઝ ગુમાવી હતી, ત્યારબાદથી ટીમ ઈન્ડિયા સતત 10 ટી20 સિરીઝમાં અપરાજીત છે. આ દરમિયાન તેણે 8 સિરીઝમાં જીત મેળવી જ્યારે બે સિરીઝ ડ્રો રહી છે. ભારતની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બંન્ને સિરીઝ ડ્રો રહી હતી. તેણે 2017/18માં બે મેચોની સિરીઝ 1-1થી ડ્રો રમી અને 2018/19માં 3 મેચોની સિરીઝ 1-1થી બરોબર રહી હતી.

ભારતની છેલ્લી 10 ટી-20 સિરીઝ

ભારતે શ્રીલંકાને 1-0થી હરાવ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયાની સિરીઝ 1-1થી ડ્રો

ભારતે ન્યૂઝીલેન્ડને 2-1થી હરાવ્યું

ભારતે શ્રીલંકાને 3-0થી પરાજય આપ્યો

ભારતે નિદાહાસ ટ્રોફી સિરીઝ જીતી

ભારતે આયર્લેન્ડને 2-0થી હરાવ્યું

ભારતે ઈંગ્લેન્ડને 2-1થી પરાજય આપ્યો

ભારતે વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝ 1-1થી ડ્રો

(4:22 pm IST)